કેબલ ગ્રાહકોને માટે રાહત : હવે મનપસંદ ચેનલ માટે ૩૧ માર્ચ સુધીની મુદ્દત : ૧૩૦નો ફિકસ ચાર્જ નહીં ભરવો પડે
ટ્રાયનો મહત્વનો નિર્ણય : ગ્રાહક જે જણાવે તે ડીટીએચ ઓપરેટરે ૭૨ કલાકમાં ચેનલ પેકમાં બદલવું પડશે
રાજકોટ તા. ૧૩ : ટેલિકોમ નિયામક ટ્રાઇ (TRAI)એ પ્રસારણ અને કેબલ સેવાઓ માટે નવી રૂપરેખા હેઠળ ગ્રાહકોને પોતાની રૂચિ મુજબ ચેનલ સિલેકટ કરવા માટે ૩૧ માર્ચ સુધીનો સમય આપ્યો છે. નિયામકે મંગળવારે આ જાણકારી આપી. એક નિવેદનમાં ઇન્ડિયન ટેલિકોમ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)એ કહ્યું કે તેણે બધા ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર્સ (ડીપીઓ)ને પોતાના તે ગ્રાહકો માટે 'સારો સંતોષકારક પ્લાન' બનાવવા માટે કહ્યું છે જેમણે હજુ સુધી ચેનલની પસંદગી કરી નથી.
ટ્રાઇએ કહ્યું કે 'સારો સંતોષકારક પ્લાન' ગ્રાહકોના ઉપયોગના અનુરૂપ, બોલવામાં આવતી ભાષા તથા ચેનલની લોકપ્રિયતાના આધારે તૈયાર કરવો જોઇએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓથોરિટી તે ગ્રાહકો માટે ચેનલની પસંદગીની સમયસીમા વધારીને ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી કરે છે જેમણે હજુ સુધી આ વિકલ્પ પસંદ કર્યો નથી. ગ્રાહક પોતાના સંતોષકારક પ્લાન'ને ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ અથવા તે પહેલાં કોઇપણ સમયે બદલવા માટે સ્વતંત્ર હશે અને ગ્રાહક દ્વારા 'સારા સંતોષકારક પ્લાન' જણાવ્યાના ૭૨ કલાકમાં ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર્સને તેમના મનપસંદ ચેનલ પેકમાં બદલવા પડશે.'
ટ્રાઇના નિવેદન અનુસાર દેશમાં ૧૦ કરોડ ઘરોમાં કેબલ સેવાવાળા ટેલીવિઝન તથા ૬.૭ કરોડ ડીટીએચ ટીવી છે. લગભગ ૬૫ ટકા કેબલ ગ્રાહક તથા ૩૫ ટકા ડીટીએચ સેવા લેનાર પોતાની રૂચિ અનુસાર ચેનલની પસંદગીનો વિકલ્પ પસંદ કરી ચૂકયા છે.
નિયામકે કહ્યું કે વ્યાપક જનહિતને જોતાં બધા ડીપીઓને આ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે ગ્રાહકોને પોતાનો વિકલ્પ પસંદ કર્યો નથી, તેમના માટે 'સારા સંતોષકારક પ્લાન' ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેને તે અપનાવી શકે. ટ્રાઇએ કહ્યું કે ગ્રાહકોની જૂની યોજના ત્યાં સુધી ચાલુ રહેશે જયાં સુધી તે પોતાનો વિકલ્પ પસંદ નહી કરે અથવા સારી યોજનાને અપનાવતા નથી.(૨૧.૨૫)