ભારતની નદીઓમાં વધી રહેલા પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો કેસ દાખલ : નદીઓના શુદ્ધિકરણ માટેના અભિયાનની શરૂઆત યમુના નદીથી કરવાનો નામદાર કોર્ટનો આદેશ
ન્યુદિલ્હી : ભારતની નદીઓમાં વધી રહેલા પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો કેસ દાખલ કરાયો છે.જેના અનુસંધાને નામદાર કોર્ટએ નદીઓના શુદ્ધિકરણ માટેના અભિયાનની શરૂઆત યમુના નદીથી કરવાનો આદેશ આપ્યો છે.
નામદાર કોર્ટએ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં, લગભગ બધી માનવ વસાહતો કેટલીક નદીના કાંઠે હતી કારણ કે તેમાં પીવાલાયક પાણી, સિંચાઈ, ખોરાક, આજીવિકા, પરિવહન, વગેરે જેવી સુવિધાઓ હોય છે, જે માટે આપણે પ્રાચીન સંસ્કૃતિના આભારી છીએ .
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠે જણાવ્યું હતું કે નદીઓનું પ્રદુષિત પાણી મનુષ્યોના સ્વાસ્થ્ય ઉપરાંત જળસૃષ્ટિ માટે પણ નુકશાનકારક છે. તેથી જળ શુદ્ધિકરણમાટેના ખર્ચની તુલના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના નુકસાન તેમજ માનવ સ્વાસ્થ્ય પરની અસરો સાથે કરી શકાય નહીં.
નામદાર કોર્ટએ જળ પ્રદુષણ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણતા જણાવ્યું હતું કે નદીઓમાં મ્યુનિસિપલ વેસ્ટ ,કેમિકલ ,બાયોલોજીકલ વેસ્ટ ,સહિતની વસ્તુઓ ઠાલવતી અટકાવવાનું કામ રાજ્ય સરકારનું છે.
સુઓમોટો કેસને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટએ ઉત્તરાખંડ ,હરિયાણા ,હિમાચલ પ્રદેશ દિલ્હી ,તથા ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ,ફોરેસ્ટ ,ક્લાયમેન્ટ ચેન્જ સહિતના વિભાગો ઉપરાંત કેન્દ્ર સરકારને પણ પાઠવવામાં આવશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.