અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર
આવતા નાણાંકીય વર્ષમાં જીડીપીમાં ૧૧ ટકાનો વધારો થશે
નવી દિલ્હી તા. ૧૩ : ઘરેલુ રેટીંગ એજન્સી બ્રિકવર્કના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક ગતિવિધિઓમાં સુધાર અને નિમ્ન તુલનાત્મક આધાર પ્રભાવની સાથે આવતા નાણાકીય વર્ષમાં દેશના વાસ્તવિક જીડીપીમાં ૧૧ ટકાનો વધારો થઇ શકે છે. બ્રિકવર્ક રેટીંગ્સના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધોમાં છુટ બાદ આર્થિક ગતિવિધિઓ ધીરે-ધીરે કોરોનાની પહેલાની સ્થિતિમાં પહોંચી રહી છે.
ફકત એ જ ક્ષેત્ર હજુ પાછળ છે. જ્યાં શારીરિક અંતરના નિયમોના લીધે કામકાજ સંપૂર્ણ ગતિ પકડી શકયું નથી. એજન્સીના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી બચાવ માટે પ્રભાવી રસી વિકસીત કરવામાં થયેલી પ્રગતિ અને ઘરેલુ વ્યવસ્થામાં આશાથી યોગ્ય સુધારાના સંકેત મળવાની સાથે જ નિમ્ન તુલનાત્મક આધારને જોઇને અમારૃં માનવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વાસ્તવિક જીડીપી ૧૧ ટકા વધી શકે છે. આ વધારો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૭ થી ૭.૫ ટકાના અંદાજીત ઘટાડાની સરખામણીમાં હશે.
એનએસઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧) માટે ચાલુ રહેલી જીડીપીના વધારાના પ્રથમ અંદાજ મુજબ દેશના જીડીપીમાં ૭.૭ ટકાનો ઘટાડો થશે. રેટીંગ એજન્સીની રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષની બીજી તીમાહીમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સ્થિતિ સાથે વધારો નોંધવામાં આવશે.