જૈનોનો ફર્ટીલીટી રેટ સૌથી ઓછોઃ મુસ્લિમોનો સૌથી વધુ
હિન્દુ અને મુસ્લિમને બાદ કરતા દેશમાં રહેતા અન્ય સમુદાયોમાં બાળકો પેદા કરવાના દરમાં ખાસ્સો ઘટાડો નોંધાયોઃ ભારતમાં બાળકો પેદા કરવાનો દર ઘટીને ર.ર ટકાઃ મુસ્લિમોમાં બાળકો પેદા કરવાનો દર હજુ પણ અન્ય કરતા વધુઃ દેશમાં શિક્ષણના સ્તરમાં જૈન સમાજના લોકો સૌથી આગળ
નવી દિલ્હી તા.૧ર : હિન્દુ અને મુસ્લિમોને બાદ કરતા દેશમાં રહેતા અન્ય સમુદાયોમાં બાળકો પેદા કરવાના દરમાં ઘણોખરો ઘટાડો આવ્યો છે અને આ સ્તર રિપ્લેસમેન્ટ લેવલથી પણ ઓછો થઇ ગયો છે. આનો અર્થ એ છે કે જો આ પ્રકારે ઝડપથી બાળકો પેદા થશે તો ભવિષ્યમાં સમુદાયની વસ્તી વર્તમાન સંખ્યાથી પણ ઓછી થશે. હિન્દુ અને મુસ્લિમોમાં પણ ફર્ટીલીટી રેટ ઘટયો છે પરંતુ હજુ પણ અમે બે અમારા બેના આંકડાથી વધુ છે. વર્ષ-ર૦૧પ-૧૬માં થયેલા નેશનલ ફેમીલી હેલ્થ સર્વે મુજબ હિન્દુઓમાં બાળકો પેદા કરવાનો દર ર.૧ ટકા પર આવી ગયો છે. જયારે ર૦૦૪-૦પમાં તે આંકડો ર.૮ ટકાનો હતો. ગત આંકડાના હિસાબથી આ મોટો ઘટાડો છે.
મુસ્લિમોમાં બાળકો પેદા કરવાનો દર હજુ પણ દેશના અન્ય સમુદાયોના મુકાબલે વધુ છે. મુસ્લિમ સમાજમાં પ્રતિ પરિવાર આ આંકડો ર.૬ ટકા છે. જયારે ર૦૦૪-૦પમાં ૩.૪ ટકાના આંકડાની તુલનામાં આ મોટો ઘટાડો કહી શકાય. ર૦૧પ-૧૬માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ધાર્મિક આધાર પર ડેટા કાઢવાથી આ ખુલાસો થયો છે. દેશમાં સૌથી ઓછો ફર્ટીલીટી રેટ ૧.ર ટકા જૈન સમાજનો છે. દેશમાં શિક્ષણના સ્તરમાં પણ જૈન સમાજના લોકો ઘણા આગળ છે તે પછી શીખોમાં બાળકો પેદા કરવાનો દર ૧.૬, બૌધ્ધ અને નવબૌધ્ધમાં ૧.૭ અને ખ્રિસ્તીમાં બે ટકા છે. ભારતના કુલ ફર્ટીલીટી રેટની વાત કરીએ તે ર.ર ટકા છે.
જો આર્થિક આધાર પર વિશ્લેષણ કરવામાં આવે તો ઓછી આવકવાળા પરિવારોમાં બાળકોનો દર સૌથી વધુ ૩.ર ટકા છે તો સૌથી ઉચ્ચવર્ગના લોકોમાં આ આંકડો સૌથી ઓછો ૧.પ છે.
સામાજીક આધાર પર આંકડાનું વિશ્લેષણ કરીએ તો સૌથી પછાત જનજાતિય સમાજમાં ફર્ટીલીટી રેટ ર.પ ટકા છે. જયારે અનુજાતિમાં તે ર.૩ છે અને પછાતવર્ગનો આગળ ર.ર છે. સવર્ણ જ્ઞાતિઓમાં આ આંકડો સૌથી ઓછો ૧.૯ છે એટલુ જ નહી યુવા મહિલાઓથી પેદા થતા બાળકોની સંખ્યા વધુ ઉંમરની મહિલાઓની સરખામણીમાં ઘણી ઓછી છે. આનાથી જણાય છે કે પાછલા બે દાયકામાં ઘણુ પરિવર્તન આવ્યુ છે. (૩-૩)