છત્તીસગઢમાં રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી:મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
જો હું જીતનો શ્રેય લઉ તો મારી હારની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ.
રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે ત્યારે રાજ્યના ભાજપી મુખ્યમંત્રી રમણસિંહે હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે
છત્તીસગઢમાં ભાજપની હાર બાદ મુખ્યપ્રધાન રમન સિંહે કહ્યું કે,તેઓ પાર્ટીની હારની નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે છે.તેમણે કોંગ્રેસની જીત માટે શુભકામનાઓ આપી પરંતુ તે માનવાનો ઇનકાર કરી દીધો કે આ ચૂંટણીની 2019ની લોકસભા ચૂંટણી પર અસર પડશે.
તેમણે કહ્યું, હું હારની નૈતિક જવાબદારી સ્વીકારૂ છું, કોંગ્રેસને જીત માટે શુભકામનાઓ. મુખ્યપ્રધાને કહ્યું કે, જો હું જીતનો શ્રેય લઉ તો મારી હારની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. મુખ્યપ્રધાને કહ્યું કે, આ મારૂ સૌભાગ્ય છે કે મને 15 વર્ષ સુધી રાજ્યની જનતાની સેવા કરવાની તક મળી.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર હતી અને છત્તીસગઢ ભાજપનો ગાઢ મનાતો હતો તેવામાં કોંગ્રેસે બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી છે અને કોંગ્રેસે જબરજસ્ત દેખાવ કર્યો છે