ખેલ ખુરસીનો સાપ મરે અને લાઠી પણ ન તૂટે
મુંબઇ તા. ૧ર :.. જે જાણકારી મળી રહી છે એ મુજબ ખુરશીના આ ખેલમાં આજે જે થવાનું છે એ છે કે સાપ પણ મરે અને લાઠી પણ ન તુટે.. જો શિવસેના સરકાર બનાવવા સક્ષમ થાય તો સ્વભાવિક રીતે એનસીપી અને કોંગ્રેસે ટેકો આપવો પડે અને મુખ્ય પ્રધાનપદ પાંચ વર્ષ સુધી શિવસેના પાસે રહે જે એનસીપી અને કોંગ્રેસ માટે ખોટનો સોદો ગણાય. બીજું એ કે બીજેપી સાથે રહીને છેલ્લા રપ વર્ષથી સેનાએ કોંગ્રેસ વિરૂધ્ધ ભારે ઝેર ઓકયુ છે એ જોતા સેનાને સરકાર બનાવવા માટે ટેકો આપવો. કોંગ્રેસ માટે શકય ન બને. પરંતુ જો એનસીપી સરકાર બનાવવા ઇચ્છે તો કોંગ્રેસ પાસે બે વિશે છોછ કરવાનું કોઇ કારણ ન રહે. બીજી તરફ એનસીપી જો સરકાર રચવા માટે શિવસેનાનો સાથ માગે તો સેના ફિફટી-ફિફટીની ફોર્મ્યુલાની શરત સાથે એનસીપીને ટેકો આપી શકે. એનસીપીને આ ફોર્મ્યુલા સામે વાંધો ન હોવાનું સુત્રોનું કહેવું છે. બીજી તરફ કોંગ્રેસ એ આરોપથી પણ બચી જાય કે એણે સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે ટેકો આપ્યો છે, કારણ કે સરકાર એનસીપી બનાવશે અને એ પણ શિવસેનાનો ટેકો લઇને જેની સાથે કોંગ્રેસને સીધી રીતે કોઇ લેવા દેવા ન હોઇ શકે. આમ સાપ મરે અને લાઠી પણ ન તૂટે એવો ખેલ પવારે રચ્યો છે.