દેશભરમાં ડુંગળીના વેપારીઓને ત્યાં ૧૦૦ સ્થળોએ આઇટીના દરોડા
જમાખોરી થતી હોવાની ફરિયાદો વચ્ચે આ દરોડા પડાયા
નવી દિલ્હી, તા.૧૨: દેશમાં ડુંગળીના આવક વધી હોવા છતાં પણ ભાવમાં ઘટાડો ન આવતા કેન્દ્ર સરકારે કડક પગલાં ભર્યાં છે. દેશભરમાં વેપારીઓ દ્વારા ડુંગળીની સંગ્રહખોરીની તથા ભાવમાં કૃત્રિમ ઉછાળાનું ધ્યાનમાં આવતા આવકવેરા વિભાગે દેશભરમાં ડુંગળી વેપારીઓના ૧૦૦ સ્થળોએ દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, નાગપુર, નાસિક અને મુંબઈમાં ડુંગળી વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ પાસે ડુંગળીનો કેટલો સ્ટોક પડેલો છે. જમાખોરી થતી હોવાની ફરિયાદો વચ્ચે આ દરોડા પડાયા હતા.
બીજી બાજુ આઈટીએ હવાલાનું મોટું કૌભાંડ પકડયું હતું. બોગલ બિલ અને હવાલા દ્વારા મોટાપાયે કૌભાંડો કરાયાનું સામે આવ્યું છે. આ માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પુણે, આગરા, ગોવા અને ઈરોડમાં દરોડા પડાયા હતા.
આવકવેરા વિભાગના અધિકારીઓની એક ટીમ લાસલગાંવ પહોંચી હતી અને ત્યાંના ચાર વેપારીઓ ત્યાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર વિભાગને ડુંગળીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દેશના સૌથી મોટા ડુંગળીના માર્કેટ એવા લાસલગાંવમાં ડુંગળીનો સરેરાશ ભાવ કિલોએ ૪૫ રૂપિયાની આસપાસ છે. ડુંગળીના એક વેપારીએ કહ્યું કે આવકવેરા વિભાગે અહીના ચાર વેપારીઓના ઠેકાણે દરોડા પાડયા છે જેની પર દરોડા પડયા છે તે દ્યરેલુ અને એકસપોર્ટ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે લગાતાર વરસાદને કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું અને તેને કારણે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો હતો. દિલ્હીમાં ડુંગળીના ભાવ કિલોએ રૂ. ૯૦ની આસપાસ છે જયારે અન્ય રાજયોમાં રૂ. ૭૦થી ૯૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળીની ખેતી કરતા રાજયોમાં ભારે વરસાદને કારણે ડુંગળીનાં ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો દ્યટાડો થયો છે. પરિણામે ડુંગળીના ભાવ વધ્યા છે. સરકાર ખાનગી વેપારીઓ દ્વારા મિસ્ર્, ઈરાન, તુર્કી અને અફદ્યાનિસ્તાનથી ડુંગળીની આયાત વધારવા કોશિશ કરી રહી છે.