બીએસએનએલઃ ૭૦ હજાર કર્મચારીએ વીઆરએસ લીધું
કંપનીમાં કુલ સ્ટાફ ૧.૫૦ લાખનો છે
નવી દિલ્હી, તા.૧૨: ભારત સંચાર નિગમ લિ.ના (બીએસએનએલ) કર્મચારીઓમાં વીઆરએસ લેવાનું પ્રમાણ વધ્યું છે. કંપનીના ચેરમેન અને એમડી પી.કે. પુરવારે કહ્યું હતું કે, ગત અઠવાડિયે વીઆરએસ સ્કીમ શરૂ થયા બાદ ૭૦,૦૦૦ કર્મચારીઓએ વીઆરએસ લીધું છે. કંપનીમાં કુલ સ્ટાફ ૧.૫૦ લાખનો છે. કંપનીનો લક્ષ્યાંક ૭૭૦૦૦ કર્મચારી વીઆરએસ લેશે એવો છે. બીએસએનએલની વીઆરએસ સ્કીમ - ૨૦૧૯ ગત અઠવાડિયે શરૂ થઈ હતી જે ૩ ડિસેમ્બર સુધી ખુલ્લી છે. વેતન બિલમાં રૂ. ૭૦૦૦ કરોડની બચત થવાની ધારણા છે. ૫૦ વર્ષ કે તેથી વધુ વયના કર્મચારીઓ વીઆરએસ સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમ નાણાંકીય દૃષ્ટિએ કર્મચારીઓ માટે ઘણી સારી છે.
એમટીએનએલે પણ વીઆરએસ સ્કીમ શરૂ કરેલી છે જે ૩ ડિસેમ્બર સુધી ખુલ્લી છે. એમટીએનએલ અને બીએસએનએલના એકીકરણ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. બંને નિગમ ખોટ દર્શાવી રહેલ છે. બંને નિગમનું દેવું રૂ. ૪૦ હજાર કરોડનું છે.