GST માં જોઈન્ટ પ્રોપર્ટી પર માલિકોને ૨૦-૨૦ લાખ સુધીની છૂટછાટ
નવી દિલ્હી, તા.૧૨: નાના વેપારીઓ માટે નિર્ધારિત રૂ.૨૦ લાખના ટર્નઓવર સુધી જીએસટીમાંથી છૂટની મર્યાદા સંયુકત પ્રોપર્ટીના મામલે તમામ માલિકોને અલગ અલગ મળશે. જીએસટી લાગુ થયા બાદ છેડાયેલા વિવાદમાં કેરળની ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જોઇન્ટ પ્રોપર્ટી પર તમામ માલિકોને ૨૦-૨૦ લાખ સુધી જીએસટીમાં છૂટ મળશે.જો પ્રોપર્ટીની કુલ વાર્ષિક આવક રૂ. ૨૦ લાખથી વધુ હોય, પરંતુ કોઇ સંયુકત માલિકને ૨૦ લાખથી ઓછો હિસ્સો મળતો હોય તો તેને જીએસટી રજિસ્ટ્રેશન લેવાની જરૂર રહેશે નહીં. ટેકસ નિષ્ણાતોનું કહેવું છે કે આ ચુકાદાની દુરોગામી અસરો પડશે.
કારણ કે સર્વિસ ટેકસનાં જીએસટીમાં સામેલ થયા બાદ લાખોની સંખ્યામાં પ્રોપર્ટીનાં સંયુકત માલિકો પર રજિસ્ટ્રેશન અને ટેકસ કોમ્પ્લાયન્સની તલવાર લટકી રહી હતી. સંયુકત માલિકી હક ધરાવતી પ્રોપર્ટી પર તેમાંથી થતી આવક સરખી વહેંચવામાં આવે છે તો ૨૦ લાખની મુકિત મર્યાદા બધાને અલગ અલગ મળશે.