મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

ત્રિચી એરપોર્ટ પર ૧૩૬ મુસાફરોથી ભરેલું વિમાન દીવાલ સાથે ટકરાયું

તામિલનાડુના એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઇ

નવી દિલ્હીતા. ૧૨ : તામિલનાડુના ત્રિચી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ત્રિચીથી દુબઈ જતી ફલાઈટ એરપોર્ટની એક કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાઈ ગઈ અને ત્યારબાદ ફલાઈટમાં કેટલીક ટેકનીકલ ખામીઓ સર્જાઈ. વિમાનની મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં સવાર મુસાફરો અને ક્રુ સભ્યોને કોઈ નુકસાન થયું કે નહીં તે અંગે કોઈ અહેવાલ નથી. ડીજીસીએએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે.

કહેવાય છે કે એર ઈન્ડિયાની ફલાઈટ IX-611 મોડી રાતે લગભગ દોઢ વાગ્યે ત્રિચી (તિરૂચેરાપલ્લી) તામિલનાડુથી દુબઈ જવા માટે ઉડી હતી. વિમાનમાં લગભગ ૧૩૬ મુસાફરો સવાર હતાં. ટેક ઓફ દરમિયાન ફલાઈટ એરપોર્ટની સેફટી વોલ સાથે ટકરાઈ. આ ઘટના બાદ વિમાનનો સંપર્ક ATC સાથે તૂટી  ગયો હતો. ત્યારબાદ સવારે ૫.૩૯ વાગે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.

વિમાનના નીચલા ભાગને નુકસાન થયું છે. ટેકનીકલ ખામીને ઠીક કરાવાયા બાદ ફલાઈટે ફરીથી ઉડાણ ભરી લીધી હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ જેટ એરવેઝની ફલાઈટનું એન્જિન ફેલ થવાના કારણે ઈન્દોરમાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ૩૦ સપ્ટેમ્બરના રોજ ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડ્યા બાદ જેટ એરવેઝની ફલાઈટનું એન્જિન ફેલ થઈ ગયું હતું. ફલાઈટમાં ૧૦૦થી વધુ મુસાફરો હતાં. આ ફલાઈટ 9W-955એ રવિવારે (૩૦ સપ્ટેમ્બર) હૈદરાબાદથી ચંડીગઢ માટે ઉડાણ ભરી હતી.

એન્જિનમાં ખરાબી આવ્યાં બાદ પાઈલટે વિમાનની સ્પીડ ઓછી કરી હતી અને ત્યારબાદ ઈન્દોરમાં સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં જ મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝની ફલાઈટમાં હવાનું દબાણ ઓછી થઈ જવાના કારણે મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.(૨૧.૧૩)

 

 

(11:32 am IST)