રેલવેની બેદરકારી
બ્રેક વિના ૧૬૦ કિમી દોડી ટ્રેન : યાત્રીઓના જીવ તાળવે ચોંટયા
લખનૌ તા. ૧૨ : ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ફરક્કા એકસપ્રેસની દુર્ઘટનામાં પાંચ લોકોનું મૃત્યુ થઈ ગયું તે વાત હજુ ખતમ પણ નથી થઈ કે હવે ગુરુવારે હજારો રેલવે યાત્રીઓના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા. સમસ્તીપુર-હાજીપુર રેલવે માર્ગ પર ટાટા-છપરા એકસપ્રેસ બ્રેક વિના જ ૧૬૦ કિમી સુધી દોડતી રહી. આ બધુ રેલવે અધિકારીઓની જાણકારીમાં થયું.
કર્પૂરીગ્રામ સ્ટેશન પર આવેલી ખરાબીને ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળતા જેમ તેમ કરીને ટ્રેનને ચલાવવામાં આવી. અડધા કલાકથી ઊભેલી ટ્રેનના યાત્રીઓને બ્રેકમાં ગરબડી અને તે અવસ્થામાં ચલાવવાની સૂચના મળવા પર શ્વાસ થંભી ગયા.
જાણકારી અનુસાર સમસ્તીપુર જંકશન પર ટાટા-છપરા એકસપ્રેસ ટ્રેન આવીને રોકાઈ. ત્યાંથી નીકળ્યા બાદ રસ્તામાં સ્લીપર ડબ્બાના ત્રણ મેટલ પાઈપ તથા બાયપાસ કપલર તૂટી ગયા. તેના કારણે બ્રેક ફેઈલ થઈ ગઈ. સ્ટેશન પર લોકો પાઈલોટે સાવધાનીથી ટ્રેન રોકી. તેણે તરત જ કંટ્રોલ રૂમને સૂચના આપી.
આ બાદ સમસ્તીપુર મંડળથી કર્મચારીઓની ટીમ પહોંચી, પરંતુ નવા પાર્ટ્સ ન હોવાના કારણે કર્મચારીઓએ જેમ તેમ રિપેરીંગ કર્યું. તેના કારણે ડબ્બાની એક બ્રેક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું. આવી હાલતમાં ટ્રેનને ચલાવીને જંકશન માટે દોડાવી દીધી.
જંકશન પર કર્મચારીઓએ બધા ડબ્બાની તપાસ કરી. ડબ્બા નંબર ૩માં અંદરથી કપલર તૂટેલા મળ્યા. તેને ઠીક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ સફળતા ન મળી. છેવટે બેદરકારી દર્શાવતા અધિકારીઓએ ટ્રેનને રવાના કરી દીધી. સ્લીપર ડબ્બામાં બ્રેક વિના જ ટ્રેન લગભગ ૧૬૦ કિમીનું અંતર કાપ્યું. કર્મચારીઓએ કહ્યું કે એક ડબ્બાની બ્રેક કામ નહોતી કરી રહી. બીજી તરફ અધિકારીઓ હવે આ મામલે કર્મચારીઓની પૂછપરછ કરી રહ્યા છે.(૨૧.૫)