જીએસટી પરિષદની બેઠક હવે ૧૯ સપ્ટેમ્બરને બદલે પાંચ ઓકટોબરે થશે
નવી દિલ્હી તા. ૧ર :.. જીએસટી પરિષદની બેઠક પાંચ ઓકટોબર સુધી ટાળી દેવાઇ છે. પહેલા આ બેઠક ૧૯ સપ્ટેમ્બરે થવાની હતી. સુત્રોએ શુક્રવારે આ માહિતી આપતા જણાવ્યું કે પરિષદની ૪ર મી બેઠકને મોકૂફ રાખવામાં આવી છે કેમ કે તે દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હશે. કેન્દ્રએ ગયા મહિને નિર્ણય કર્યો હતો કે જીએસટી પરિષદની ૪૧ મીએ અને ૪ર મી બેઠક ર૭ ઓગષ્ટ અને ૧૯ સપ્ટેમ્બરે થશે.જો કે તે સમયે સંસદના ચોમાસુ સત્ર બાબતે કોઇ નિર્ણય નહોતો લેવાયો. જીએસટી પરિષદની પાંચ ઓકટોબરે થનારી બેઠક ઘણી મહત્વપૂર્ણ હશે કેમ કે કેન્દ્ર અને રાજયો વચ્ચે જીએસટી વળતર બાબતે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રએ ગયા મહીને રાજયોને ૯૭૦૦૦ કરોડની લોન લેવાનો અથવા બજારમાંથી ર.૩પ લાખ કરોડ ભેગા કરવાના બે વિકલ્પો આપ્યા હતા જેનો રાજયો વિરોધ કરી રહ્યા છે.
છ બિન ભાજપા સરકાર વાળા રાજયોને પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, તેલંગાણા, છતીસગઢ અને તામિલનાડુએ કેન્દ્રને પત્ર લખીને રાજયો દ્વારા લેવાના વિકલ્પનો વિરોધ કર્યો હતો. સુત્રોએ જણાવ્યું કે આઠ સપ્ટેમ્બર સુધીમાં સાત રાજયોએ પોતાની પસંદગીનો વિકલ્પ કેન્દ્રને જણાવી દીધો છે.