આયુષ્માન ભારત - ૨.૦માં કેન્સર માટે પણ કવરેજ
નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્માન-૨.૦ને મંજૂરી આપવામાં આવી
નવી દિલ્હી તા.૧૨: કેન્સરની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓને હવે આયુષ્માન ભારત યોજના હેઠળ બહેતર હેલ્થ કવર પ્રાપ્ત થશે. આ યોજના હેઠળ કેન્સરનો ઇલાજ કેન્સરના પ્રકાર પર નહીં, પરંતુ દવાના સેવનના આધારે થશે. નવી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે ૨૦૦ વધારાના પેકેજિસ જોડવામાં આવશે. જેમાં કાર્ડિયોલોજી અને હાડકાંના રોગો સાથે સંકળાયેલ શ્રેષ્ઠ કવોલિટીના ઇમ્પ્લાન્ટનો પણ સમાવેશ થશે. આ ફલેગશિપ પ્રોગ્રામને લાગુ કરનાર નોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટીના ગવર્નિગ બોર્ડે આયુષ્માન-૨.૦ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી કેન્સરના ઇલાજ ક્ષેત્રમાં એક મોટું પગલું છે. આયુષ્માન ભારત કેન્સર કેરના મામલામાં સ્વયંને ટાટા મેમોરિયલ હોસ્પિટલના નેશનલ કેન્સર ગ્રીડ સાથે જોડેલ છે. આમ, કેન્સર કેર હવે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલ દવાઓના આધારે આપવામાં આવશે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના પ્રોટોકોલ્સ હવે તમામ સ્વાસ્થ્ય કેન્દ્ર પાસે ઉપલબ્ધ બનશે.