મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

INX કેસમાં ચિદમ્બરમની જામીન મેળવવા માટે અરજી

જ્યુડિશિયલ કસ્ટડીના આદેશના પડકાર ફેકાયો : ચિદમ્બરમ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં છે : ચિદમ્બરમને કોઈ રાહત મળે તેવી સંભાવના ઓછી

નવી દિલ્હી,તા.૧૧ : આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ હાલમાં તિહાર જેલમાં પહોંચેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં આજે અપીલ કરી હતી. ચિદમ્બરમે આ કેસમાં ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીના સીબીઆઈ કોર્ટના આદેશને પણ પડકાર ફેક્યો છે. આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ચિદમ્બરમ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં છે. ખાસ સીબીઆઈ જર્જ અજય કુમાર દ્વારા આપવામાં આવેલા જ્યુડિશિયલ કસ્ટડીના આદેશને ચિદમ્બરમે પડકાર ફેક્યો છે. ચિદમ્બરમને ગયા ગુરુવારના દિવસે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના માટે કઠોર આદેશ કરાયો હતો. અહીં ૧૪ દિવસ માટે ચિદમ્બરમને જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી દેવામાં આવ્યા હતા. ચિદમ્બરમને હાલ ૧૯મી સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં રહેવું પડશે. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. બે દિવસની સીબીઆઈ કસ્ટડી ખતમ થયા બાદ તપાસ સંસ્થાએ ગુરૂવારના દિવસે  ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ગાળા દરમિયાન સીબીઆઈએ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી જ્યારે ચિદમ્બરમના વકીલ સિબ્બલે આનો વિરોધ કર્યો હતો. આ પહેલા દિવસમાં સુપ્રીમ કોર્ટે મોટા ઘટનાક્રમ વચ્ચે ઇડીની રજૂઆતને યોગ્ય ઠેરવી હતી. ચિદમ્બરમની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સામાન્યરીતે આર્થિક અપરાધમાં આગોતરા જામીન અપાતા નથી. તથ્યો અને પરિસ્થિતિ પર ધ્યાન રાખીને આ કેસ આગોતરા જામીન માટે યોગ્ય નથી.તે પહેલા ચિદમ્બરમની અરજી દિલ્હી હાઈકોર્ટના ૨૦મી ઓગસ્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવી હતી.

             દિલ્હી હાઈકોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. ચિદમ્બરમના મામલામાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી તરફથી ધારદાર દલીલો કરવામાં આવી રહી હોવા છતાં ચિદમ્બરમને કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ ચિદમ્બરમની હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની  મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા.

(7:56 pm IST)