મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

અભિનેત્રી ઉર્મિલાએ પણ કોંગ્રેસની સાથે છેડો ફાડ્યો

કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો પણ કર્યા

મુંબઈ, તા.૧૦ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીથી પહેલા ઉર્મિલાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા પરંતુ પાંચ મહિનાના ગાળામાં જ ઉર્મિલા કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. લોકસભાની ચૂંટણીમાં ઉર્મિલાએ પોતાની હારની જવાબદારી સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ઉપર છોડી દીધી છે. ઉર્મિલાએ મુંબઈ ઉત્તર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી.

      આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપાલ શેઠ્ઠીએ ઉર્મિલાને કારમી હાર આપી હતી. રાજનીતિમાં એન્ટ્રી કર્યા બાદ ઉર્મિલાએ કહ્યું હતું કે, ઉત્તર મુંબઈમાં ઝુંપડપટ્ટી વિસ્તાર વધારે છે જેથી તે આ લોકોના વિકાસ માટે કામ કરવા માટે ઇચ્છુક છે. એમ માનવામાં આવે છે કે, ઉર્મિલાએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધન કરીને પોતાનું રાજીનામું સાતમી સપ્ટેમ્બરના દિવસે આપી દીધું હતું. ઉર્મિલાના રાજીનામાના સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા કોંગ્રેસી નેતાઓએ આપી નથી.

(12:00 am IST)