મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

હાર્દિક મામલે સરકાર છેવટ સુધી મક્કમ રહીઃ એક પણ માંગણી ન સ્વીકારીઃ સમગ્ર પ્રકરણમાં વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ

સરકારે જરા પણ નમતુ ન જોખ્યુઃ વાતચીત કરવાનું પણ ટાળ્યુ

અમદાવાદઃ ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામત આપવાના મામલે આજે બપોરે ૧૯ દિવસ બાદ હાર્દિક પટેલે પારણા કરી લીધા છે. હાર્દિકની માંગણીઓ પરત્વે સરકારે જરા પણ નમતુ જોખ્યુ નથી. એટલુ જ નહિ સરકાર છેલ્લે સુધી મક્કમ રહી હતી અને હાર્દિક પટેલની એક પણ માંગણી સ્વીકારવા તૈયારી પણ દર્શાવી ન હતી. આખરે વડીલોની સમજાવટને પગલે હાર્દિકે આજે પારણા કરી લેતા સમગ્ર ઘટનાક્રમનો અંત આવ્યો છે. સરકારનું વલણ પહેલેથી જ સ્પષ્ટ હતું. સરકાર હાર્દિકની એક પણ માંગણી સ્વીકારવા પહેલા દિવસે પણ તૈયાર ન હતી અને આજે ૧૯માં દિવસે પણ તૈયાર ન હતી. સમગ્ર પ્રકરણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ આપવી પડે. રાજ્ય સરકારે સાબિત કરી આપ્યુ છે કે છાશવારે ગેરબંધારણીય બાબતોને આગળ ધરીને રાજ્યની શાંતિ ડહોળનારા લોકો સામે સરકાર કદી નહી ઝુકે. ૧૯ દિવસના ઘટનાક્રમમાં સરકારે જરા પણ મચક આપી ન હતી તે પણ નોંધનીય છે. આ મામલે સરકાર એવુ પણ ઈચ્છતી હતી કે કોંગ્રેસ ઉઘાડી પડે અને તેને કોઈ રાજકીય લાભ પણ ન મળે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે જો અમે ખોટી દિશામાં હોય તો અમારો કાન પકડો પરંતુ પ્રજાને બાનમાં લેવાનું, ગેરવ્યાજબી માંગણી કરવાનુ અને યુવાનો ગેરમાર્ગે દોરવાનું બંધ થવુ જોઈએ. સરકાર બંધારણને વરેલી છે અને તે મુજબ જ આગળ વધવા માગે છે તે ઘટનાક્રમે સાબિત કરી દીધુ છે.

(3:48 pm IST)