મુખ્ય સમાચાર
News of Sunday, 12th July 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ચીને ભારતની જમીન હડપી : રાહુલ ગાંધીના પ્રહારો

એલએસી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ગુમરાહ કરી રહ્યા છે : ગાલવાન ઘાટીમાં ચીની સેના સાથેની લોહીયાળ અથડામણ બાદ રાહુલ ગાંધી સતત કેન્દ્રની નીતિઓને લઈ સવાલ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૨ : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે લદ્દાખ મુદ્દે ફરી એક વખત મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, 'એવું શું બન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચીને ભારત  માતાની પવિત્ર જમીન છીનવી લીધી?' રાહુલ ગાંધીએ એક ન્યૂઝ રિપોર્ટને ટ્વિટ કર્યો હતો અને મોદી સરકાર સામે ફરી એક વખત સવાલો કર્યા હતા. ન્યૂઝ રિપોર્ટમાં એક સુરક્ષા નિષ્ણાંતે કરેલા દાવા પ્રમાણે કેન્દ્ર સરકાર ન્છઝ્ર મુદ્દે ચીન સાથેના તણાવને લઈ મીડિયાને ગુમરાહ કરી રહી છે. ગાલવાન ઘાટીની આ સ્થિતિ ભારત માટે નુકસાનકારક બની શકે છે. આ રિપોર્ટને ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, 'એવું શું બન્યું કે મોદીજીની હાજરીમાં ચીને ભારત માતાની પવિત્ર જમીન છીનવી લીધી?'  લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીની સેના સાથેની લોહીયાળ અથડામણ બાદ રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓને લઈ સવાલો કરી રહ્યા છે.

             આ મામલે રાહુલ ગાંધી સતત એમ કહી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના દાવાની સાથે ઉભા છે પરંતુ તેઓ આપણી સેના સાથે ઉભેલા નથી દેખાઈ રહ્યા.  રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે ચીને આપણી જમીન લઈ લીધી છે. ભારત તેને પાછી મેળવવા ચર્ચાઓ કરી રહ્યું છે. ચીન આ જમીન ભારતની ન હોવાનું જણાવી રહ્યું છે. વડાપ્રધાને જાહેરમાં  ચીનના દાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન ચીનનું સમર્થન શા માટે કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનું સમર્થન શા માટે નથી કરી રહ્યા? ગાલવાન મુદ્દે યોજાયેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાને એમ કહ્યું હતું કે, કોઈ ભારતની સરહદમાં ઘૂસ્યું નથી અને કોઈએ ભારતની જમીન કબજે પણ નથી કરી. નોંધનીય છેકે ૧૫ જૂનની રાતે લદ્દાખમાં LAC  ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ૨૦ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે.

(9:30 pm IST)