મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

અયોધ્યા કેસ : મધ્યસ્થતા પેનલને ૨૫મી સુધી રિપોર્ટ સોંપવા આદેશ

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલને વિસ્તૃત રિપોર્ટ સોંપવા આદેશ કર્યો : અયોધ્યા વિવાદને ઉકેલવા મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી : ૧૮મીના આદેશ બાદ રોજની સુનાવણી અંગે નિર્ણય

નવી દિલ્હી,તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને આજે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થતાને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે. સીજેાઇ રંજન ગોગાના નેતૃત્વમાં બંધારણીય બેંચે મધ્યસ્થતા પેનલને વચગાળાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવામાં આવશે નહીં. પેનલ વચગાળાના હેવાલને રજૂ કરે તેની રાહ જોવામાં આવનાર છે. પેનલને ૧૮મી જુલાઇના દિવસે પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે જરૂરી રહેશે તો ૨૫મી જુલાઇના દિવસથી અયોધ્યા મામલામાં દરરોજના આધાર પર સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે મધ્યસ્થતા પેનલને ૨૫મી જુલાઇ સુધી વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. મધ્યસ્થતા પેનલને ભંગ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમે મધ્યસ્થતા પેનલની રચના કરી ચુક્યા છીએ. અમને રિપોર્ટનો ઇન્તજાર રહેશે. મધ્યસ્થતા પેનલ પહેલા રિપોર્ટ રજૂ કરે તે જરૂરી છે. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલ કે. પરાસરને કહ્યુ હતુ કે મધ્યસ્થતાના કોઇ સારા પરિણામ હાંસલ થશે નહીં. જેથી કોર્ટને સુનાવણી માટે તારીખ નક્કી કરવી જોઇએ. બીજી બાજુ મુસ્લિમ પક્ષ તરફથી ઉપસ્થિત થયેલા વકીલ રાજીવ ધવને કહ્યુ હતુ કે આ સમય મધ્યસ્થતા પેનલની ટિકા કરવાનો નથી. ધવને આક્ષેપ કર્યો હતો કે આ અરજી અમને ડરાવવા માટે કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે મામલાની દરરોજની સુનાવણી કરવા સાથે સંબંધિત સત્તાવાર આદેશ ૧૮મી જુલાઇના દિવસે જસ્ટીસ કલીફુલ્લાની પેનલના વચગાળાના રિપોર્ટને નિહાળ્યા બાદ આપવામાં આવશે. આનો અર્થ એ થયો છે કે જો કોર્ટને એવુ લાગશે કે મધ્યસ્થતાની પ્રક્રિયામાં કોઇ નક્કર પ્રગતિ થઇ નથી  તો જ દરરોજની સુનાવણીના આધાર પર નિર્ણય કરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ાઠમી માર્ચના દિવસે પૂર્વ ન્યાયાધીશ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતીની રચના કરી હતી. જેને મામલાનો સર્વમાન્ય સમાધાન કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. હવે સમિતીને ૧૫મી ઓગષ્ટ સુધી સમય આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે ત્રણ સભ્યોની સમિતીને ન્યાયાલય  દ્વારા સોંપવામાં આવેલા ભૂમિ વિવાદ મામલે કોઇ વધારે પ્રગતિ થઇ નથી.  મામલાની સુનાવણી દરમિયાન સંબંધિત પક્ષોના લોકો હાજર રહ્યા હતા. આજની સુનાવણી પર તમામ લોકોની નજર પહેલાથી જ કેન્દ્રિત થઇ ગઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી વર્ષોથી ચાલી રહી છે. કોઇ નિકાલ કરવામા આવી રહ્યો નથી. કોર્ટના કેટલાક નિર્ણય આવી ચક્યા છે. જો કે આ અંગે કોર્ટના ફેંસલાને પડકાર ફેંકીને વારવાર રજૂઆત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં વારંવાર સંબંધિત પક્ષો તરફથી તર્કદાર દલીલો રજૂ કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં વારંવાર પડી રહેલી તારીખોને લઇને પણ અયોધ્યા મામલે જોડાયેલા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મામલો વર્ષોથી કોર્ટમાં રહેલો છે. સુપ્રીમ કોર્ટે ૧૮મી જુલાઇ સુધી વચગાળાના રિપોર્ટને સોંપી દેવા માટે આદેશ કર્યો છે. રિપોર્ટને નિહાળ્યા બાદ વધારે આદેશ કરવામાં આવનાર છે.મધ્સ્થતા પેનલની પાસે પણ હવે સમય ઓછો રહ્યોછે.

(12:00 am IST)