મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

વધારાયેલા ટેક્સ કુમારસ્વામી પરત ખેંચે તેવી પ્રબળ શક્યતા

કોંગ્રેસ તરફથી કુમારસ્વામી ઉપર તીવ્ર દબાણ :અનાજના પ્રમાણને ઘટાડવાના નિર્ણયને પણ પરત લેવા માટે મુખ્યમંત્રી કુમારસ્વામીને ફરજ પડે તેવી સંભાવના

બેંગ્લોર, તા. ૧૨ :કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર વચ્ચે ગઠબંધન સરકારના પ્રથમ બજેટને રજૂ કરતી વેળા મુખ્યમંત્રી કુમારસ્વામી તરફથી ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી હતી પરંતુ બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ વધારવાની પણ જાહેરાત કરી હતી. એવા સમાચાર મળી રહ્યા છે કે, હવે કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી પર પેટ્રોલ અને ડીઝલ ઉપર મુકવામાં આવેલા ટેક્સ અને ગરીબી રેખાની નીચી રહેનાર લોકો માટે અનાજના પ્રમાણને ઘટાડી દેવાના નિર્ણયને પરત લેવા દબાણ લાવશે. મુખ્યમંત્રી ગૃહમાં આ સંદર્ભમાં જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આ સંદર્ભમાં નિર્ણયોને પરત લેવા કુમારસ્વામીને અપીલ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે, કુમારસ્વામીએ પાંચમી જુલાઈના દિવસે બજેટ રજૂ કરતી વેળા બે ટકા ટેક્સ પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગૂ કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે જનવિતરણ વ્યવસ્થા હેઠળ દર મહિને એક વ્યક્તિને મફતમાં આપવામાં આવતા ચોખાને સાત કિલોની જગ્યાએ પાંચ કિલો કરવા અને તુવેરદાળના જથ્થાને એક કિલોથી ઘટાડીને ૫૦૦ ગ્રામ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઘોષણાઓથી વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધનના ધારાસભ્યોના વિરોધની સામનો કરવો પડ્યો હતો. જેડીએસના વરિષ્ઠ ધારાસભ્ય વિશ્વનાથે મુખ્યમંત્રીના બદલાયેલા નિર્ણયને લઇને કોંગ્રેસના સભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ રેશનિંગના જથ્થાને ઘટાડવાનો વિરોધ કર્યો હતો. મંગળવારના દિવસે આ મુદ્દે જોરદાર ચર્ચા થઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ તેની બેઠકમાં આ મુદ્દાને જોરદારરીતે ઉઠાવ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી પર દબાણ લાવવા માટે કહ્યું હતું. પેલેસ ગ્રાઉન્ડ ઉપર આયોજિત કાર્યક્રમમાં દિનેશ ગુંડુરાવે કેપીસીસીના નવા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી લીધી હતી. પાર્ટી કાર્યકરોને સંબોધતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી ચુક્યો છે. કર્ણાટકમાં હાલમાં ફ્યુઅલની કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચેલો છે. બજેટમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી લેવામાં આવેલી લોન માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ નક્કી કરાયેલી સમય મર્યાદાની અંદર લોનની ફેર ચુકવણી કરી છે તેમને પ્રોત્સાહનના ભાગરુપે ચુકવવામાં આવેલી રકમ ઉપર ૨૫૦૦૦ રૂપિયા જે ઘટાડવામાં આવી છે તે પરત કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન કો-ઓપરેટિવ અને રાષ્ટ્રીયકૃત બેંકો માટે તમામ લોન સત્તામાં આવ્યા બાદ ૨૪ કલાક બાદ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે એક બાજુ ખેડૂતોની લોન માફી કરીને ખેડૂતોને ખુશ કરવાના પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ પેટ્રોલ અને ડિઝલ તથા વિજળીની કિંમતો વધારીને તેમને થનાર ફાયદા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બજેટમાં પેટ્રોલ ટેક્સમાં ૩૦ ટકાથી ૩૨ ટકા, ડિઝલ પર ૧૯થી ૨૧ ટકા વધારો કરાયો હતો. પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧.૧૪ રૂપિયા, ડિઝલની કિંમતમાં ૧.૧૨ રૂપિયા અને વિજળીના દરમાં ૨૦ પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો હતો.

(7:49 pm IST)