લોકો હાઇસ્પીડ ટ્રેનનું સ્વપ્ન જોઇ રહ્યા છે ત્યારે રેલવે તંત્ર સ્વપ્ન સાકાર કરવાને બદલે ટ્રેનોના રનીંગ ટાઇમ વધારી રહ્યુ છેઃ રેલવેમંત્રી પીયુષ ગોયલની ચેતવણી પછી અધિકારીઓએ અલગ પ્રકારના રસ્તા કાઢ્યા
લખનઉઃ કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે વારંવાર મોડી પડતી ટ્રેનો મુદ્દે રેલવેના અધિકારીઓને ઠપકો આપ્યા બાદ રેલવેના અધિકારીઓએ પણ અલગ રસ્તો કાઢ્યો હતો.
લોકો હાઈ સ્પીડ ટ્રેનોનું સપનું જોઈ રહી છે ત્યારે રેલવે તે સપનું સાકાર કરવાને બદલે ટ્રેનોના રનિંગ ટાઈમ વધારી રહી છે. અધિકારીઓએ પોતાની પંક્ચ્યુઆલિટીનો ગ્રાફ વધરાવા અને લેટ ટ્રેનોની કાર્યવાહીથી બચવા માટેનો રસ્તો શોધી કાઢ્યો છે.
ઉત્તર ભારત, પૂર્વોત્તર ભારત અને ઉત્તર મધ્ય રેલવેમાં ટ્રેન મોડી પડવાની સમસ્યા ઘણી વધારે છે. પેસેન્જર્સે ઉઠાવવી પડતી મુશ્કેલીઓને કારણે રેલવેની ઘણી ટીકા થઈ રહી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઓફિસર્સનો વોર્નિંગ આપી કે સ્થિતિમાં સુધારો નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ વૉર્નિંગ પછી અધિકારીઓએ અલગ અલગ પ્રકારના રસ્તા કાઢ્યા.
અધિકારીઓએ લેટ થનારી મુખ્ય ટ્રેનોના ટાઈમ ટેબલમાં જ ફેરફાર કરી નાખ્યો. અધિકારીઓએ 93 ટ્રેનોને નિર્ધારિત સ્થળ પર પહોંચવાના સમયમાં 20 મીનીટથી લઈને કલાક સુધીનો વધારો કરી નાખ્યો. માટે હવે આ ટ્રેન મોડી પડશે તો પણ રાઈટ ટાઈમ જ કહેવાશે.
ઓપરેટિંગ વિભાગના અધિકારીઓએ પાછલા થોડાક મહિનાઓથી રેગ્યુલર લેટ ચાલતી 93 ટ્રેનોના નિર્ધારિત સમયમાં વધારો કરીને નોટિફિકેશન જાહેર કર્યું. અર્થાત ટાઈમ ટેબલ પ્રમાણે લેટ કહેવાતી ટ્રેનો હવે નવા ટાઈમ ટેબલ પ્રમાણે રાઈટ ટાઈમ હશે. ઉદાહરણ તરીકે, અત્યાર સુધી નૌચંદી એક્સપ્રેસ સહારનપુર પહોંચતા સુધી એક કલાક લેટ થઈ જતી હતી, પરંતુ હવે રેલવેએ તેના પહોંચવાના સમયમાં એક કલાકનો વધારો કરી દીધો, જેથી તેની ગણતરી લેટ ટ્રેનમાં ન થાય.