જો કે રિઝર્વ બેંક કહે છે કે સિક્કા લીગલ ટેન્ડરમાં છે જ
બંધ થઇ જવાના છે ૫ રૂ.ના સિક્કા?
નવી દિલ્હી તા. ૧૨ : છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો અને દુકાનદાર પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. આ સિવાય લોકો એક રૂપિયાનો નવો સિક્કો લેવાથી પણ ગભરાઈ રહ્યા છે. કેટલાક લોકો આ પાંચ રૂપિયાના સિક્કાને નકલી ગણાય છે અને કેટલાક લોકોનો તર્ક છે કે બીજા નથી લેતા એટલે અમે પણ નથી લેતા. આ પાંચ રૂપિયાના સિક્કાની હકીકત શું છે એ વિશે આશંકાનો જે માહોલ છે એનો સ્પષ્ટ જવાબ ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે ફેબ્રુઆરીમાં આપી ચૂકી છે. આરબીઆઇ તરફથી ૧૫ ફેબ્રુઆરીએ બેંકોને પાઠવવામાં આવેલા સરકયુલરમાં કહેવામાં આવ્યું છે કે ૧,૨,૫ અને ૧૦ રૂપિયાના સિક્કા સંપૂર્ણ રીતે માન્ય છે. આ સિક્કા સ્વીકારવાનો કોઈ વ્યકિત કે બેંક ઇનકાર ન કરી શકે.
આ સાથે આરબીઆઇએ એમ પણ કહ્યું છે કે માર્ચ, ૨૦૦૯ પછી જાહેર કરાયેલા તમામ સિક્કા લીગલ ટેન્ડર છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે સિક્કા લાંબા સમય સુધી ચાલે છે. શકય છે કે ગયા વર્ષે જ રજૂ કરાયેલા સિક્કાની સાથેસાથે ૧૦ વર્ષ જૂના સિક્કા પણ ચલણમાં હોય.(૨૧.૨૮)