હવે મોદી સરકાર અંબાણીના ગજવામાં છેઃ કેજરીવાલ
પહેલા કોંગ્રેસની સરકાર અંબાણીના ગજવામાં હતી પરંતુ
નવી દિલ્હી, તા. ૧૨ :. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી ઉપર આકરો પ્રહાર કર્યો છે. તેમણે દેશના સૌથી શ્રીમંત વ્યકિત અને રિલાયન્સના વડા મુકેશ અંબાણીના તાર પીએમ મોદી સાથે જોડી દીધા છે. તેમણે આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રસ્તાવિત જીયો ઈન્સ્ટીટયુટને લઈને મોદી સરકારની ટીકા કરી છે. ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાના ટ્વીટને રી-ટ્વીટ કરતા કેજરીવાલે લખ્યુ છે કે પહેલા કોંગ્રેસની સરકાર અંબાણીના ખિસ્સામાં હતી. હવે મોદી સરકાર અંબાણીના ખિસ્સામા છે. શું કંઈ બદલ્યુ છે ખરા ?
હકીકતમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયે થોડા દિવસ પહેલા ઈન્સ્ટીટયુટ ઓફ એમીનન્સની યાદી જાહેર કરી હતી. જેમાં જીયો ઈન્સ્ટીટયુટને પણ જગ્યા અપાઈ હતી. સિંહાએ કેન્દ્રના આ પગલાની ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, જીયો ઈન્સ્ટીટયુટની હજુ સુધી સ્થાપના થઈ નથી તે અસ્તિત્વમાં નથી છતા સરકાર તેને એમીનન્સનુ ટેગ આપે છે. મુકેશ અંબાણી હોવાનું આ જ મહત્વ છે.
સીએમ કેજરીવાલે ૨૦૧૪ની ચૂંટણીમાં અગાઉ પણ મુકેશ અંબાણીને તીખી ટીકા કરી હતી. તેમણે કોંગ્રેસ અને ભાજપને ભાઈ ભાઈ કહ્યા હતા. કેજરીવાલે કહ્યુ હતુ કે, મુકેશ અંબાણીના એક ગજવામાં નરેન્દ્ર મોદી અને બીજા ગજવામાં રાહુલ ગાંધી છે.