મહામારી ખતમ થયાનું માનીને ભારતે કવેળા અનલોક કર્યું : ડો.એન્થની ફોસી
યુએસના મેડિકલ એડવાઈઝરની સાંસદો સાથે બેઠક : સમય પહેલા જ ભારતમાં બધુ અનલોક થવા માંડ્યું હતું જેથી બીજી લહેરમાં ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાયું હતું
વોશિંગ્ટન, તા. ૧૨ : અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈસર ડો.એન્થની ફોસીએ અમેરિકાના સાંસદો સાથે એક બેઠક યોજી હતી.
જેમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતે કોરોના મહામારી ખતમ થઈ ગઈ હોવાનુ ખોટુ અનુમાન લગાવ્યુ હતુ.દેશને સમય પહેલા અનલોક કરી દીધો હતો.આ જ કારણ છે કે, અત્યારે ભારતની સ્થિતિ બહુ ખરાબ છે.કોરોનાની બીજી લહેર ભારતને પ્રભાવિત કરી રહી છે.દેશના સંખ્યાબંધ રાજ્યો ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ અને બેડની અછત સામે ઝઝૂમી રહ્યા છે.
કોરોના મહામારી પર યોજાયેલી બેઠકમાં ડો.ફોસીએ કહ્યુ હતુ કે, ભારતે માની લીધુ હતુ કે, કોરોના સંક્રમણ ખતમ થઈ ગયુ છે.સમય પહેલા જ ભારતમાં બધુ અનલોક થવા માંડ્યુ હતુ અને તેના કારણે ભારતમાં જ્યારે બીજી લહેર આવી ત્યારે ઝડપથી સંક્રમણ ફેલાયુ હતુ અને હવે તે ખતરનાક સાબિત થઈ રહ્યુ છે.દરમિયાન અમેરિકાના એક સેનેટર મુરેએ કહ્યુ તુ કે, ભારતમાં કોરોનાના હાલત ચિંતાજનક છે.અમેરિકા આ મહામારીને ત્યાં સુધી ખતમ નહીં કરી શકે જ્યાં સુધી તે બીજે પણ ખતમ નથી થતી.અમેરિકા ચાર જુલાઈ સુધી બીજી દેશોને ૬ કરોડ વેક્સીન ડોઝ ડોનેટ કરવાનુ છે.ભારતની સ્થિતિમાંથી યુએસે શીખવાની જરુર છે કે મજબૂત પબ્લિક હેલ્થ કેર સિસ્ટમ બહુ જરુરી છે.