રાહત...રાજકોટમાં આજે ૩૮ મોતઃ નવા ૧૦૧ કેસ
કુલ કેસનો આંક ૩૫,૬૯૩ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૧,૫૬૨ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૮.૮૫ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૭ પૈકી ૮ કોવિડ ડેથઃ હાલમાં ૨૮૦૧ દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ તા. ૧૨: શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૩૮ નાં મૃત્યુ થયા છે. છેલ્લા ઘણા સમય પછી મૃત્યુ આંકનો ગ્રાફ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૦૧ કેસ નોંધાયા છે.
આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૧નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૨નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩૮ દર્દીઓએ દમ તોડી દીધો હતો.
ગઇકાલે ૫૭ પૈકી ૮ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.
શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૩૭૮ બેડ ખાલી છે.
બપોર સુધીમાં કોરોનાના ૧૦૧ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૦૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૮,૩૨૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૫,૨૫૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૭,૨૪૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૩૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૬ ટકા થયો હતો. જયારે ૩૫,૨૫૦ દર્દીઓે સાજા થયા હતા.
આજ દિન સુધીમાં ૧૦,૭૨,૮૩૬ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૮,૩૨૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૬ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૨૮૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે.