મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

બીજી લહેરનો કહેર હળવો થયો પરંતુ જુલાઇ સુધી નહીં થાય અંત

દેશમાં કોરોનાની બીજી લહેર ફેલાવવા પાછળ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું અગત્યનું કારણ : ડો. શાહિદ જમીલ

નવી દિલ્હી,તા.૧૨:  કોરોનાની બીજી લહેરની ઝડપ થોડા રાજયોમાં નબળી પડતી જોવા મળી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના ૯ રાજયોમાં હવે નવા કેસોમાં ઘટાડો આવતો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ અને દિલ્હી જેવા ખૂબ જ પ્રભાવિત રાજય પણ છે. પરંતુ સંક્રામક બીમારીઓના એકસપર્ટ ડો. શાહિદ જમીલનું કહેવું છે કે ભલે અત્યારે કેસ ઓછા દેખાઈ રહ્યા હોય પરંતુ બીજી લહેરનો અંત થવામાં હજુ થોડાક મહિના લાગશે. શાહિદ જમીલના જણાવ્યા મુજબ જુલાઈના અંત સુધી બીજી લહેરનો અંત થશે.

તેઓએ એવું પણ કહ્યું કે દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવો વેરિયન્ટ પણ જવાબદાર હોઈ શકે છે પરંતુ એ વાતના સંકેત નથી કે તે વધુ દ્યાતક છે. તેઓએ એવી પણ આશંકા વ્યકત કરી છે કે દેશમાં બીજી લહેરમાં કેસ એટલી ઝડપથી નહીં ઘટે જે રીતે સામાન્ય રીતે બીજી કે ત્રીજી લહેરમાં થાય છે.

ડો. શાહિદ જમીલનું કહેવું છે કે પહેલી લહેરમાં એક દિવસમાં દેશમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા ૯૬-૯૭ હજાર રહેતી હતી. તો તેની સામે બીજી લહેરમાં લગભગ ૪ લાખ છે. તેથી આ લહેરને જવામાં પણ સમય લાગશે. આમ પણ હજુ અનેક રાજયો એવા છે જયાં નવા કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે.

આ ઉપરાંત, ડો. શાહિદ જમીલે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે આપણે જે રીતે કોરોના મોતના આંકડા એકત્ર કરીએ છીએ, તે પદ્ઘતિ ખોટી છે. તેઓએ કહ્યું કે દેશની કોરોનાની બીજી લહેર ફેલાવવા પાછળ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું અગત્યનું કારણ છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણી રેલીઓ અને ધાર્મિક આયોજનો જેવા સુપરસ્પ્રેડિંગ ઇવેન્ટ્સને પણ કોરોનાના પ્રસારમાં જવાબદાર ગણાવ્યા.

(10:22 am IST)