સ્વાસ્થ્ય મંત્રીઓ હાઇકોર્ટ દ્વારા તપાસની માંગણી
ગોવાની હોસ્પિટલમાં રાતના ૨ વાગ્યે ઓકિસજન ખૂટયોઃ કોરોનાના ૨૬ દર્દીઓના મોત
પણજી, તા.૧૨: ગોવાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઓકિસજનનો સપ્લાય બંધ થઈ જતા કોરોનાના ૨૬ દર્દીઓના કમકમાટીભર્યાં મોત નીપજયાં છે.
ગોવાના હેલ્થ મિનિસ્ટર વિશ્વજીત રાણેએ જણાવ્યું કે સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) માં કોરોનાના ૨૬ દર્દીઓના મોત નીપજયાં છે. તેમણે કહ્યું કે ઓકિસજન સપ્લાય અટકી જતા આ દ્યટના બની છે. તેમણે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા આ ઘટનાની તપાસ થવી જોઈએ. મંત્રીએ જણાવ્યું કે દ્યટના રાતના ૨ અને ૬ ની વચ્ચે બની હતી.
સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોરોનાના ૨૬ દર્દીઓ ઓકિસજન સપોર્ટ પર હતા. રાતના લગભગ ૨ થી ૬ ની વચ્ચે અચાનક ઓકિસજન સપ્લાય ધીમો પડયો હતો. આથી દર્દીઓને ગભરાટ થવા લાગ્યો હતો.
દુર્ઘટનાની ખબર મળતા ચીફ મિનિસ્ટર પ્રમોદ સાવંત અધિકારીઓ સાથે મેડિકલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા અને જાણકારી મેળવી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું કે મેડિકલ ઓકિસજનની ઉપલબ્ધતા અને કોવિડ વોર્ડમાં ઓકિસજનના સપ્લાય વચ્ચે ગેપ પડતાં દર્દીઓને પરેશાની થવાની સંભાવના છે. જોકે તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે રાજયમાં ઓકિસજનની કોઈ અછત નથી.