સગીર આતંકવાદીઓના મોત પહેલા પણ થતા રહ્યા છે : કાશ્મીરમાં ચાર વર્ષમાં આઠ સગીર આતંકવાદીઓ મરાયા મુઠભેડમાં
જમ્મુ,તા. ૧૨: ગઇકાલે ૧૬ કલાક ચાલેલી મુઠભેડમાં મરાયેલ બે સગીર આતંકવાદીઓના મોત કાશ્મીરમાં ફરી એક વાર ચર્ચામાં એરણે ચડી છે. છેલ્લા ચાર વર્ષોમાં આઠ સગીર આતંકવાદીઓ કાશ્મીરમાં મરાયા છે. આમ તો ૨૦૦૦ની સાલથી જ આતંકવાદીઓ દ્વારા સગીરોનો ઉપયોગ માનવ બોમ્બ તરીકે કરવાનું શરૂ થયું હતું.
કાશ્મીરમાં આટલી નાની વયના આતંકવાદીઓને સુરક્ષા દળોએ માર્યા હોય તેવુ પહેલીવાર નથી બન્યું. પણ ૧૪ વર્ષનો ફૈઝલ ગુલઝાર અને ૧૭ વર્ષના આસીફ ગનઇના મોતથી કાશ્મીરમાં ચિંતાનો વિષયએ છે કે જો આટલી નાની વયના તરૂણો આતંકવાદના રસ્તે ચડવાનું શરૂ થશે તો કાશ્મીરનું ભાવી જોખમમાં મુકાઇ જશે.
શોપીયામાં થયેલ બે આતંકવાદીઓના મોત ચિતાનો વિષય છે. કેમ કે એકની ઉમંર ૧૪ વર્ષ છે. અને બીજાની ૧૭ વર્ષ. એક નવમાં ધોરણનો વિદ્યાર્થી હતો. તો બીજો ૧૧મા ધોરણનો. બન્ને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શાળાએથી ગુમ થયા હતા અને ગયા અઠવાડીયેએ બન્નેના ફોટા બંદુકો સાથે સોશ્યલ મીડીયા પર આવ્યા હતા. અને ગઇ કાલે બન્નેના મોત થયા હતા.
ફકત ૧૪ વર્ષની વયે બંદૂક પકડનાર ફૈઝલ ગુલઝાર કાશ્મીરનો બીજા નંબરનો સૌથી નાની વયનો આતંકવાદી બની ગયો છે. બંદૂક સાથે જયારે તેનો ફોટો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો તો તેના માસૂમ ચહેરાને જોઇને મોટાભાગના લોકોનું માનવું હતુ કે કોઇએ મજાક કરી છે અને તેના હાથમાં રમકડાની બંદૂક છે પણ સત્ય ખરેખર અલગ જ હતું.
જ્યારે પોલીસે તેની લાશ બહાર કાઢી તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પહેલા ૨૦૧૮ના ડીસેમ્બરમાં માર્યો ગયેલ મુદ્દસ્સર અહેમદ પર્રે પણ ૧૪ વર્ષનો જ હતો. કાશ્મીર રેન્જના આઇજીપી વિજય કુમારનું કહેવુ છે કે આટલી નાની વયના બાળકોને આતંકવાદ સાથે પ્રેમ ખતરનાક સંકેત આપે છે. જેને રોકવા માટે કાશ્મીરીઓએ આગળ આવવું પડશે. બીજી તરફ ગુલઝારની માં એ કહ્યુ છે મને જરાય માહિતી ન હોતી કે મારો દીકરો આતંકવાદના માર્ગે જતો રહ્યો છે. હું તો તેના ગુમ થવાને સાદી ગુમશુદગી ગણી રહી હતી.