મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

ચૂંટણીવાળા રાજ્યોની અંદર કોરોના વાયરસના કેસ કેમ નથી વધતા ? : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખનો કટાક્ષ

અનેક મંત્રીઓ ભારે ભીડ વચ્ચે ચૂંટણી પ્રચાર કરે છે છતા ત્યાં કોરોના કેસમાં વધારો નથી થતો ?

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરનો કહેર આખા દેશ કરતા વધારે છે. દેશમાં દરરોજ સામે આવતા કોરોનાના નવા કેસમાં અડધા કેસ એકલા મહારાષ્ટ્રના છે. આજે પણ મહારાષ્ટ્રમાં 60 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 349 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં 15 દિવસનું લોકડાઉન લાગે તેવી પણ શક્યતા છે. ત્યારે આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કટાક્ષ કર્યોછે કે અમે અમારી ટાસ્ક ફોર્સને કહ્યું છે કે તેઓ તપાસ કરે કે ચૂંટણીવાળા રાજ્યોની અંદર કોરોના વાયરસના કેસ કેમ નથી વધતા?

તેમણે આગળ કહ્યું કે અનેક મંત્રીઓ ભારે ભીડ વચ્ચે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ છતા ત્યાં કોરોના કેસમાં વધારો નથી થતો. ઉલ્લેખનીય છે કે તેમનો ઇશારો પશ્ચિમ બંગાળ તરફ હતો. આ પહેલા તામિલનાડૂ, આસામ, પોંડિચેરીમાં પણ આવી સ્થિતિ હતી. લોકો પુછી રહ્યાં છે કે જો આખા દેશમાં કોરોનાનો કહેર હોય તો પશ્ચિમ બંગાળમાં કોરોના કેસ કેમ આવતા નથી.

આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ આવવાને લઇને કહ્યું હતું કે હું બીજા રાજ્ય વિશએ ટિપ્પણી નહીં કરું. પરંતુ અમે ટેસ્ટની સંખ્યા વધારી છે, જેના કારણે કેસની સંખ્યા પણ વધી રહી છે. જોકે તેમને આડકતરી રીતે તે તરફ ઇશારો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા ઓછી છે.

(12:00 am IST)