મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

પ્રિયંકા ઇફેકટ

યુપી માટે ભાજપે કમર કસીઃ મોદી-શાહ મેદાનમાં ઉતરશે

૧૫મીથી ભાજપ સટાસટી બોલાવશેઃ સંખ્યાબંધ સભાઓ યોજશે

લખનોૈ તા.૧૨: ઉત્તર પ્રદેશની રાજધાની લખનોૈમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો પછી સોમવારે ભાજપા છાવણીમાં પણ હિલચાલ જોવા મળી. ભાજપાના લખનોૈમાં આવેલ રાજ્ય હેડકવાર્ટરમાં પ્રદેશ એકમના મોટા નેતાઓની મીટીંગ થઇ.

મીટીંગમાં આગામી લોકસભા ચૂંટણીના બદલાતા રાજકીય સમીકરણો પર ખાસ ચર્ચા થઇ. ભાજપા નેતાઓએ એસપી-બીએસપી ગઠબંધન અને યુપી દ્વારા પ્રિયંકાના સક્રિય રાજનીતિમાં આવવાની ચર્ચાઓ કરી, પાર્ટી સુત્રોનું કહેવું છે કે આગામી પડકારોને જોતા મેદાનમાં વડાપ્રધાન મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ જ આનો કાઉન્ટર જવાબ આપશે.

સુત્રો અનુસાર ભાજપા આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતશાહની ઢગલાબંધ રેલીઓ આયોજીત કરશે. વડાપ્રધાન અને અમિત શાહની જોડી એસપી-બીએસપી ગઠબંધન અને પ્રિયંકા સામે ટક્કર લેશે. માહિતી અનુસાર ભાજપા પોતાના વિરોધીઓ પર ૧૫ ફેબ્રુઆરીથી જ હુમલો કરવાની છે. ૧૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન ઝાંસીનો પ્રવાસ કરશે અને આ દરમ્યાન ડીફેન્સ કોરીડોર સહિત ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ ત્યાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીની બ્રાન્ડ વેલ્યુનો પુરેપુરો ઉપયોગ કરવાની એક રૂપરેખા પ્રદેશ ભાજપાએ બનાવી લીધી છે. ઝાંસીના પ્રોગ્રામ પછી વડાપ્રધાન પોતાના મત વિસ્તાર વારાણસીમાં ૧૯ ફેબ્રુઆરીએ જશે. ત્યાં એક કેન્સર હોસ્પિટલ સહિત બીજી યોજનાઓના ઉદ્દઘાટન કરશે. ત્યાર પછી ૨૪ ફેબ્રુઆરીએ તેમનો કાર્યક્રમ ગોરખપુરમાં રખાયો છે. ત્યાં તેઓ ખેડૂત મોર્ચાના એક કાર્યક્રમમાં ભાગ લેશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સતત ઉત્તર પ્રદેશના પ્રવાસમાં વ્યસ્ત રહેશે. ૧૩ ફેબ્રુઆરીએ તે પ્રયાગરાજમાં કુંભ મેળામાં જવાના છે. તે વખતે શાહ વિભિન્ન અખાડાઓના સાધુ સંતોને મળશે અને સ્થાનિક ભાજપા નેતાઓ સાથે મુલાકાત કરશે. ભાજપા નેતાએ જણાવ્યું કે પૂર્વ ઉત્તર પ્રદેશના ગાજીપુર અથવા બલિયામાં અમિત શાહ ૨૬ ફેબ્રુઆરીએ કાર્યકર્તાઓને સંબોધિત કરવા પહોંચવાનાં છે.(૧.૩)

 

(10:19 am IST)