મુંબઇમાં મરાઠી માણસ ઘટ્યા : હિન્દી ભાષીઓ વધ્યા : ગુજરાતીઓનો નજીવો વધારો
મુંબઈ તા. ૧૨ : મુંબઈમાં મોટા ભાગે મરાઠી માણૂસ છે એવી માન્યતા હાલમાં ખોટી ઠરી છે, કારણ કે મુંબઈ અને પરા વિસ્તારમાં મરાઠીઓની સંખ્યા ઓછી થતી જઇ રહી છે. થાણે અને રાયગઢમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે. ગુજરાતીઓની સંખ્યામાં પણ નજીવો વધારો નોંધાયો છે. તેમ છતાં હિન્દી ભાષીઓની સંખ્યામાં ઘરખમ વધારો નોંધાયો છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સીસ સંસ્થાના અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થઇ રહેલા સ્થળાંતરને કારણે મુંબઈની લોકસંખ્યામાં ફેરફાર થઇ રહ્યો છે.
મુંબઈમાં હિન્દી ભાષીઓની સંખ્યામાં ૭૦થી ૮૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૦૧થી ૨૦૧૧ સુધી મરાઠીઓની સંખ્યામાં ફકત ત્રણ ટકાનો વધારો થયો છે. ગુજરાતી અને ઉર્દૂ ભાષીઓની સંખ્યામાં પણ ત્રણ-ત્રણ ટકાનો વધારો થયો છે, પરંતુ ૨૦૦૧થી ૨૦૧૧ સુધી હિન્દી ભાષીઓની સંખ્યામાં ૪૩ ટકાનો વધારો થયો છે.(૨૧.૩)