કાળા કારનામા કરનાર બધા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ
કાળા કારનામાથી સીબીઆઈ ઉપર પ્રતિબંધ : આંધ્ર, છત્તીસગઢ તેમજ બંગાળી નેતાઓ ફફડી ગયા છે
નવી દિલ્હી, તા. ૧૨ : વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અયોધ્યા મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ આ વિવાદને ઉકેલવા માટે ઈચ્છુક નથી. વિકાસના દરેક કામમાં અડચણો ઉભી કરવી કોંગ્રેસનું કામ રહ્યું છે. મેક ઈન ઈન્ડિયા, જીએસટી, સ્વચ્છ ભારતને લઈને કોંગ્રેસ વાંધો ઉઠાવે છે. કોંગ્રેસ જીએસટીની બેઠકનું સમર્થન કરે છે પરંતુ મધ્ય રાત્રિએ બોલાવવામાં આવેલા સત્રનો બહિષ્કાર કરે છે. કોંગ્રેસ પોતાને કાનૂન અને સંસ્થાઓથી ઉપર સમજે છે. કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી મેરિટ પ્રક્રિયામાં અડચણો ઉભી કરે છે. દેશની સર્વોચ્ચ સંસ્થાઓની પણ ચિંતા કરતા નથી. ચુંટણી પંચ, આરબીઆઈ, તપાસ સંસ્થા અને સુપ્રિમ કોર્ટમાં પણ અડચણો ઉભી કરે છે. સીજેઆઈને હટાવવા માટે મહાભિયોગ લાવવાના પ્રયાસ કરાયા હતા. કોંગ્રેસ અયોધ્યા મામલાનો ઉકેલ ઈચ્છતી નથી. કાળા કારનામા કરનાર લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. અહીંના નેતાઓ તેમના કાળા કારનામાના કારણે ભયભિત થયેલા છે. મોદીને ફસાવો તેવો કોંગીનો એજન્ડો રહ્યો હતો.