મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

યુપીમાં સપા - બસપા ગઠબંધનનું એલાન : ૩૮ - ૩૮ સીટો પર લડશે ચુંટણી

સંયુકત પત્રકાર પરીષદમાં કોંગ્રેસ - ભાજપ બંનેને લીધા આડે હાથ : બંને પક્ષ પર લગાવ્યા ગોટાળાના આરોપો : અમેઠી - રાયબરેલી સીટ કોંગ્રેસ માટે છોડીઃ યુપીમાં ભાજપે બેઇમાનીની સરકાર બનાવી : મોદી - શાહની ઉંઘ ઉડી જશે : SP-BSP સાથે મળીને બીજેપીનો કરશે સફાયો : માયાવતીઃ માયાવતીજીનું અપમાન મારૃં અપમાન : સમગ્ર દેશમાં અરાજકતાનું વાતાવરણ : અખિલેશ

 

સપા-બસપા ગઠબંધનઃ નવી બોટલમાં જુનો દારૃઃ માયાવતી-અખીલેશે સયુંકત કોન્ફરન્સ કરી બંન્ને પક્ષોના ગઠબંધનની જાહેરાત કરી હતી. પણ આ બંન્ને પક્ષોનું ગઠબંધન નવી બોટલમાં જુના દારૂ જેવુ છે. ૧૯૯૦માં બસપાના સ્થાપક કાશીરામજી અને સમાજવાદી પાર્ટીના મુખીયા મુલાયમસિંહ યાદવે પણ ગઠબંધન કર્યું હતુ.

લખનૌ તા. ૧૨ : ઉત્તરપ્રદેશમાં લખનૌ ખાતે સપા અને બસપાના મહાગઠબંધન પર આજે અખિલેશ યાદવ અને માયાવતીએ સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ૨૩ વર્ષ બાદ ફરી એક વખત સપા અને બસપા એકસાથે જોડાઈને ગઠબંધન કર્યુ છે. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતાં કહ્યું હતું કે ગુરુ-ચેલાની ઊંઘ હરામ કરવા આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની હવે ઊંઘ ઉડી જશે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહેલાં પણ આ ગઠબંધન થયું હતું પરંતુ લાંબો સમય સુધી ચાલી શકયું ન હતું. પરંતુ હવે ફરી વખત દેશના જનહિત માટે ગઠબંધન કરવાનું વિચાર્યુ છે.ઙ્ગ

સીટ ફાળવણી મુદ્દેઙ્ગપ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી જેમાં સપા અને બસપા બંને ૩૮-૩૮ એમ સરખી બેઠકો પરથી આગામી ચૂંટણી લડશે. જેમાં કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલીની એમ ૨ સીટો છોડી દેવાઈ હતી. આ સીટ પર સપા-બસપા તેમના ઉમેદવારો નહીં ઉતારે. જયારે સહયોગી પાર્ટી માટે પણ અન્ય ૨ સીટો છોડવામાં આવી હતી.

માયાવતીએ પોતાનું સંબોધન કરીને બસપાની સિદ્ઘિઓ ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બસપાએ બાબાસાહેબ આંબેડકરના અધૂરાં સપના પૂરાં કર્યા. માયાવતીએ આગળ કહ્યું કે ૨૦૧૯માં ક્રાંતિ આવશે અને દેશમાં જનહિતને ધ્યાનમાં રાખીને યુપીમાં એકજૂટતા રાખવી જરૂરી છે. ભાજપની તાનાશાહી નીતિથી દેશની જનતા પરેશાન થઈ ગઈ છે અને ભાજપ જાતિવાદ પક્ષ છે.ઙ્ગમાયાવતીએ આગળ કહ્યું હતું કે અમારો મુખ્ય હેતુ ભાજપને સત્તામાં આવતો રોકવાનો છે. અમે કોઈ પણ રીતે ભાજપ એન્ડ કંપનીને સત્તામાં નહીં આવવા દઈએ. બોફોર્સથી કોંગ્રેસની સરકાર ગઈ અને રાફેલથી ભાજપની સરકાર જશે. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી SP-BSPને કોઈ લાભ નહીં થાય જેથી કોંગ્રેસને ગઠબંધનમાં શામેલ નહીં કરાય.

ઉલ્લેખનીય છે કે સપા અને બસપાએ આ ગઠબંધન કોંગ્રેસને બહાર રાખીને કર્યુ છે ત્યારે યુપીમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસની પણ ચિંતામાં વધારો થશે.ઙ્ગજયારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં સીટોની વહેચણીને લઈને RLDમાં નારાજગી છે. ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, RLD આ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહશે. RLDના અધ્યક્ષ અજીત સિંહ પણ નારાજ છે. તેમની નારાજગી સીટોની વહેચણીને લઈને છે. પ્રાપ્ત વિગતો મુજબ RLDને ત્રણ સીટો ફાળવવાનો પ્રસ્તાવ છે. જયારે છ સીટો પર ચૂંટણી લડવાની RLDની માગ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, સપા અને બસપા ૩૮-૩૮ સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠી સીટ છોડી દેવામાં આવી છે. તે ઉપરાંત બાકી બે સીટો પોતાનાં સહયોગીઓ માટે છોડવામાં આવી છે. માટે કુલ ૮૦ પૈકી ૭૬ સીટો પર સપા અને બસપા પોતાનાં ઉમેદવારોને ઉતારશે

કોંગ્રેસના ગઠબંધન નહી કરવાનાં સવાલ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, આઝાદીના લાંબા સમય સુધી દેશ અને મોટા ભાગના રાજયો પર કોંગ્રેસે રાજ કર્યું. કોંગ્રેસનાં શાસનકાળમાં ગરીબી, ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસ અને ભાજપની વિચારસરણી તથા કાર્યશૈલી એક જેવી જોવા મળે છે. સંરક્ષણ સોદાની ખરીદીમાં આ બંન્ને સરકારોએ જબરદસ્ત ગોટાળા કર્યા છે.ઙ્ગ

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ભાજપે બેઇમાનીથી સરકાર બનાવી છે. જનવિરોધીઓને સત્તામાં આવતા અટકાવો. ભાજપની અહંકારી સરકારથી લોકો પરેશાન છે. જે રીતે આપણે મળીને પેટાચૂંટણીમાં ભાજપને હરાવ્યા છે, તે જ પ્રકારે અમે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું.

જો કે, આજે સપા અને બસપાના મહાગઠબંધનનું એલાન થઈ ગયું હતું. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના અધ્યક્ષ માયવતી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ, નિષાદ પાર્ટી, પીસ પાર્ટી સહિત અનેક નાના પક્ષ હાજર રહેશે.(૨૧.૨૨)

(3:31 pm IST)