મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

પત્રકાર હત્યા કેસ : ગુરમિત રામરહીમ દોષિત જાહેર થયો

૧૭મી જાન્યુઆરીના દિવસે સજાની જાહેરાત : ૧૬ વર્ષ જુના હત્યાના કેસમાં અંતે દોષિત જાહેર : ચુકાદા વેળા કલમ ૧૪૪ વચ્ચે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

પંચકુલા, તા. ૧૧ : હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામરહીમને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કર્યા છે. પંચકુલા સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ રામરહીમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૧૬ વર્ષ જુના આ મામલામાં રામરહીમ સહિત ચાર અપરાધીઓને આજે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હવે રામરહીમ અને બાકીના દોષિતોને ૧૭મી જાન્યુઆરીના દિવસે સજા કરવામાં આવશે. સુનાવણીથી પહેલા પંચકુલામાં સીબીઆઈની ખાસ અદાલતમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. જાતિય સતામણીના કેસમાં રામરહીમને અગાઉ સજા કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસાક ભડકી ઉઠી હતી જેને ધ્યાનમાં લઇને વહીવટીતંત્રએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. રામરહીમને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મિડિયાને પણ તક આપવામાં આવી ન હતી. ખાસ અદાલતે રામરહીમ ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને દોષિત ગણ્યા હતા. કોર્ટ સંકુલની આસપાસ ૫૦૦ની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બેરીકેડિંગ કરવામાં આવી હતી. કોઇપણ લોકો એકત્રિત થઇ ન શકે તે માટે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. શાંતિ જાળવી રાખવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું. રામરહીમ સાથે જોડાયેલા નિર્ણયના પરિણામે હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. ગુરમિત રામ રહીમને વિડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરાયા હતા જ્યારે અન્યોને પ્રત્યક્ષરીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુરમિત રામરહીમ હાલમાં રોહતકની સોનારિયા જેમાં છે. રાજ્ય સરકારે સોનારિયા, ડેરાની ઓફિસ સિરસા અને પંચકુલામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પહેલા રામરહીમને ૧૧મી જાન્યુઆરીના દિવસે પ્રત્યક્ષરીતે કોર્ટમાં ઉપસ્થિ રહેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ તંગદિલીને ધ્યાનમાં લઇને આખરે હરિયાણા સરકારે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પગલા લેવામાં આવ્યા હતા. ગુરમિત રામરહીમને સાધ્વી શોષણના મામલામાં અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ પંચકુલા સહિત અનેક જગ્યાએ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. રમખાણ અને તોડફોડના બનાવો બન્યા હતા.

 

(7:31 pm IST)