દરેક મામલે શિવસેના સાથે સંમત થવું જરૂરી નથી : એનસીપીએ અલગતાનો રાગ આલાપ્યો
મહા વિકાસ આઘાડીના સહયોગી પક્ષોએ દરેક મુદ્દે સંમત થવું જરૂરી નથી
મુંબઈ : મહારાષ્ટ્રના સત્તાધારી મહા વિકાસ આઘાડીના સહયોગી પક્ષોના કેન્દ્રના નાગરિકતા ખરડા બાબતે મતભેદ સપાટી પર આવતાં એનસીપી અને કૉન્ગ્રેસ તરફથી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. શિવસેનાએ લોકસભામાં નાગરિકતા ખરડાને આપેલા સમર્થન બાબતે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે 'મહા વિકાસ આઘાડીના સહયોગી પક્ષોએ દરેક મુદ્દે સંમત થવું જરૂરી નથી. આઘાડીના ઘટક પક્ષો રાજ્યમાં કોઈને નાત-જાત, ભાષા કે પ્રાંતીયતાના મુદ્દે અન્યાય ન થાય એવા સિદ્ધાંતને સમર્પિત છે.
અગાઉ એનસીપીએ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ બિલ)ને ગેરબંધારણીય ગણાવતાં બીજેપી પ્રણીત કેન્દ્ર સરકાર રાજકીય લાભ માટે એ ખરડો પસાર કરાવવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના મહામંત્રી સચિન સાવંતે ગઈ કાલે જણાવ્યું હતું કે 'શિવસેનાએ લોકસભામાં સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલને સમર્થન આપ્યું છે, પરંતુ એ પક્ષ મહારાષ્ટ્રમાં મિશ્ર સરકારના કૉમન મિનિમમ પ્રોગ્રામને વળગી રહેશે એવી આશા રાખીએ છીએ.'