દિલ્લીમાં પ્રદુષિત હવા અને ઠંડીની સીઝનમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો
છેલ્લા સપ્તાહમાં 75 લોકોને ડેન્ગ્યુ :મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો : સ્વાઈન ફ્લુ પણ જોર પકડ્યું
નવી દિલ્હી :દિલ્લીમાં હવાના પ્રદુષણમાં કોઈ સુધારો આવ્યો નથી. હાલ દિલ્લીમાં તાપમાન પણ ૮ ડીગ્રી સેલ્સિયસથી પણ ઓછુ છે. ઠંડી આટલી બધી હોવા છતાં મરછરનો આતંક ઓછો નથી થઇ રહ્યો.
દેશની રાજધાનીમાં ગયા અઠવાડિયામાં ૭૫ લોકોને ડેન્ગ્યુ થવાને લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.આ વર્ષે ડેન્ગ્યુને લીધે ૪ લોકોના મોત થઇ ચુક્યા છે.
જાહેર કરેલ રીપોર્ટ પ્રમાણે ૧ થી ૮ ડીસેમ્બરની વચ્ચે ૭૫ લોકોને ડેન્ગ્યુ થયો છે. જેમાંથી ૧૫ દર્દીઓ દક્ષીણ દિલ્લીના રહેવાસી છે.
આ વર્ષે દિલ્લીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા કુલ ૨૭૩૨ થઇ ગઈ છે. આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ પણ શામેલ છે.
ડેન્ગ્યુના લીધે દિલ્લી રહેવાસીઓની ઊંઘ હરામ થઇ ગઈ છે.બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે દિલ્લીમાં સ્વાઈન ફ્લુ પણ જોર પકડવા લાગ્યું છે. અત્યાર સુધી ૧૩૨ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. પાછલા ૨ મહિનામાં ૨ લોકોના મોત પણ થઇ ચુક્યા છે.