પોતાના ખર્ચા પર આવ્યા
ભાજપના સમર્થનમાં ઉતર્યા NRG : કરી રહ્યા છે પ્રચાર
ભારતીયોને આપી ઓળખ : અનામતનો વિરોધ
નવી દિલ્હી તા.૧૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ તો પાર્ટીઓના નેતાઓ અને તેમના સમર્થકો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના અમુક NRIs પણ છે, જે ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. લગભગ ૬૦ જેટલા NRIનું સમુહ આજકાલ રાજયમાં છે અને લોકોને નરેન્દ્ર મોદીનો સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યા છે.
આ પ્રવાસીઓએ જણાવ્યું કે, તે પોતાના ખર્ચા પર ગુજરાત આવ્યા છે. ભાજપના અમુક નેતાઓના જણાવ્યા અનુસાર આમાંના અમુક લોકો નરેન્દ્ર મોદીને ત્યારથી પર્સનલી ઓળખે છે જયારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ લોકોમાં ડોકટર અને ફાર્માસિસ્ટથી લઈને બિઝનેસમેન શામેલ છે.
કેલિફોર્નિયામાં વ્યવસાયે સર્જન જશુભાઈ પટેલ(૫૧ વર્ષ) વડનગરના છે. પટેલે અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે,મોદીએ વિદેશમાં રહેતા ભારતીયોને એક ઓળખ આપી છે. તેમણે હિન્દુત્વથી લઈને યોગ સુધી, અને પોતાની રહેણી-કરણીથી જે રીતે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં રજુ કરી છે, તેનાથી અમને લોકો માનથી જુએ છે.જશુભાઈ કહે છે કે, હું લોકોને અપીલ કરીશ કે તે નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે. જયારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ઘણી મુશ્કેલીઓ હતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતને કાસ્ટ પોલિટિકસ અને પછાતપણાથી બહાર નીકાળ્યું છે. એક સમાજ તરીકે અમે ઘણી મહેન કરીને આગળ આવ્યા છીએ. અનામતની માંગ કરીને તે મહેનતને વ્યર્થ ન કરવી જોઈએ.