સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઊતરેલા ૩નાં ઝેરી ગેસની અસરથી મોત
યુપીના કાનપરમાં જાજમાઉની કમનસીબ ઘટના : ટેનરી સંચાલક મૃતદેહ મૂકીને ભાગી ગયો, મૃતકના પરિજનોએ ટેનરી સંચાલક પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો
કાનપુર, તા.૧૧ : યુપીના કાનપુરમાં જાજમાઉ સ્થિત ટેનરીમાં સેપ્ટિક ટેક્ન સાફ કરવા આવેલા ટીમના કાર્યકરો ઝેરી ગેસનો ભોગ બન્યા બાદ બેહોશ થઈ ગયા હતા. સ્થળ પર હાજર લોકો ત્રણેય મજૂરોને હાલાત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા. આ પછી ટેનરી સંચાલક મૃતદેહ મૂકીને ભાગી ગયો હતો. આ મામલે મૃતકના પરિજનોએ ટેનરી સંચાલક પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એવું પણ કહેવાય છે કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ મૃતકોની ઓળખ ગલ્લા મંડી નૌબસ્તાના રહેવાસી ૨૯ વર્ષીય સોનુ, ૩૨ વર્ષીય સુખવીર અને ૩૦ વર્ષીય સત્યમ તરીકે થઈ છે. હોસ્પિટલમાં હાજર મૃતકના પરિજનોએ ટેનરી મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે, કોઈપણ સુરક્ષા સાધનો વિના દરેકને સેપ્ટિક ટાંકીમાં નાખવામાં આવ્યા હતા, જેના કારણે મૃત્યુ થયું હતું.