જમ્મુ-કાશ્મીર : ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ૫ જવાનો શહીદ
ત્રાસવાદીઓની કાયરતાપૂર્ણ કૃત્ય : શહીદોમાં એક જેસીઓ અને સેનાના ૪ જવાનોએ શહીદી વ્હોરી : પૂંછ વિસ્તારમાં હજુય સામસામો ગોળીબાર ચાલુ : ૪ થી ૫ ત્રાસવાદીઓ છુપાયા હોવાની શકયતા
શ્રીનગર તા. ૧૧ : આતંકવાદ સાથે જંગ લડી રહેલી ભારતીય સેનાને મોટો ઝટકો લાગ્યો છે. પૂંછમાં ત્રાસવાદીઓ વિરૂધ્ધ એક ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત ૫ જવાનો શહિદ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જવાનો શહીદ એ સમયે થયા ત્યારે એક ટુકડી આતંકવાદીઓ વિરૂધ્ધ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન ત્રાસવાદીઓએ જવાનો પર હુમલો કરી દીધો. જેમાં એક જેસીઓ સહિત ૫ જવાનો શહિદ થયા છે. હાલમાં ભારતીય સેના તરફથી અતિરિકત ફોર્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરવામાં આવી છે. હજુ પણ સુરક્ષાદળો તેમજ આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
જંગલમાં હજુ પણ ત્રણથી ચાર આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર દરમિયાન જ સેનાના ચાર જવાન અને એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સૈન્ય પ્રવકતા લેફટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએપૂંછ જિલ્લાના ચમેર જંગલમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી.
એજન્સીઓ મોગલ રોડ નજીક ચેમેર મારફતે આતંકવાદીઓની ઘૂસણખોરીનું ઇનપુટ પ્રાપ્ત થયું હતું. આ પછી, સુરક્ષા દળોએ અહીં ઓપરેશન હાથ ધર્યું. સવારથી જ અહીં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.