વાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા બાદ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું
આંધ્રપ્રદેશમાં બે મહિલા સહીત સાત લોકોના મોત :ઓરિસ્સામાં ભારે પવનથી સેંકડો વૃક્ષો,વીજ થાંભલાઓ ધરાશાયી
સમુદ્રી વાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના સમુદ્ર કિનારાને ધમરોળીને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું છે.ઓડિશાના ગોપાલપુરમાં આ વાવાઝોડાની ઝપટમાં આવીને માછીમારોથી ભરેલી એક બોટ ડૂબી ગઇ હતી આ બોટમાં પાંચ માછીમારો હતા. જેમને બચાવી લેવાયા હતા
આંધ્રપ્રદેશમાં આ વાવાઝોડું જીવલેણ સાબિત થયું હતું આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં બે મહિલાઓ સહિત કુલ સાત લોકોના વાવાઝોડાના કારણે મોત નિપજ્યા હતા ઓડિશાના હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી તોફાની પવન માટે ચેતવણી આપી છે. સતર્કતાના ભાગરૂપે ઓડિશાના સમુદ્ર કિનારા વિસ્તારમાંથી આશરે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
તિતલી વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી 86 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં લેન્ડફોલ થયું. ભારે પવનના કારણે આ વિસ્તારમાં વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે