ગાયના મુદ્દા પર રાજનીતી શરૂ થઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીમોદી પર આકરા પ્રહારો
ઔવેસી, હરિશ રાવત અને રાજા દ્વારા જવાબ : ગાયના નામ ઉપર પણ માનવીને મારવામાં આવે છે ત્યારે મોદીના કાન ઉભા થઈ જવા જોઈએ : ઔવેસીની પ્રતિક્રિયા
નવી દિલ્હી, તા. ૧૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મથુરામાં ગાયને લઈને વિપક્ષના વલણ પર આકરા પ્રહાર કર્યા હતા. બીજીબાજુ વડાપ્રધાનના નિવેદન બાદ તરત જ વિરોધ પક્ષોના નિવેદનો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. વિપક્ષોએ મોદી પર વળતા પ્રહાર કર્યા છે. સૌથી પહેલા એઆઈએમઆઈએમ ચીફ ઔવેસીએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાન એ વખતે ઉભા થઈ જવા જોઈએ જ્યારે ગાયના નામ ઉપર માનવીને મારવામાં આવે છે અને બંધારણના લીરેલીરા ઉડાડવામાં આવે છે. કોંગ્રેસના નેતા હરિશ રાવતે કહ્યું હતું કે, સંઘ અને ભાજપના જનમ પહેલા પણ ઓમનો ઉલ્લેખ હતો. ઔવેસીએ કહ્યું હતું કે, બંધારણે સમાનતાના અધિકાર માનવીને આપ્યા છે. આ બાબતને વડાપ્રધાનને સમજી લેવી જોઈએ. ઔવેસીએ ઉમેર્યુ હતું કે, ગાય હિન્દુ લોકો માટે પ્રવિત્ર છે પરંતુ તમામ લોકોએ અધિકારોને સમજવાની વાત છે. ડાબેરી નેતા રાજાએ પણ વડાપ્રધાનના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે આર્થિક સંકટને રજુ કરતા કહ્યું હતું કે, મોદી બિનજરૂરી મુદ્દાઓને ઉઠાવીને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવીને અન્ય મુદ્દા પર ધ્યાન આપી રહ્યાછે. મોદી આર્થિક મુદ્દાને છોડીને ગાય અને ઓમની વાત કરી રહ્યા છે. આર્થિક મુદ્દાઓ ઉપર તેમનું ધ્યાન જતુ નથી. કોંગ્રેસે ટકોર કરતા કહ્યું છે કે, આર્થિક કટોકટીને દુર કરવાની જવાબદારી મોદીએ નાણામંત્રીને આપી દીધી હોવાનું લાગે છે.
મોદીના ગાય અને ઓમ પર કરવામાં આવેલા નિવેદન બાદ આને લઈને પેટાચૂંટણીના માહોલમાં રાજકીય ગરમી વધી જાય તેમ માનવામાં આવે છે. કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ મોદીના નિવેદન બાદ તરત જ આકરી પ્રતિક્રિયાઓ આપી છે. જેનાથી એવુ લાગે છે કે, આગામી દિવસોમાં આ મુદ્દા પર જોરદાર રાજનીતી કરવામાં આવનાર છે અને આ મુદ્દા ગરમ થશે.