મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

અંકુશ રેખા ઉપર સાત લોંચ પેડ તૈયાર : ર૭પ જેહાદી ટ્રેનિંગમાં

પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત : અફઘાનિસ્તાન અને પશ્તુન મુળના યુવાનોને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે મોકલવા ખતરનાક તૈયારી : કલમ ૩૭૦ ના મામલે પાકિસ્તાનને પછડાટ

શ્રીનગર,તા. ૧૧: કાશ્મીરના મોરચા પર ચારેબાજુથી પછડાટ ખાધા બાદ પાકિસ્તાન હજુ પણ ઉશ્કેરણીજનક હરકત કરવામાં વ્યસ્ત છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે પાકિસ્તાને અંકુશ રેખા પર ફરી એકવાર સાત લોંચ પેડ સક્રિય કરી દીધા છે. આ લોંચ પેડ ખાતે ૨૭૫થી વધારે જેહાદીઓની ટ્રેનિંગ ચાલી રહી છે. વર્ષ ૧૯૯૦માં પણ પાકિસ્તાન વિદેશી ત્રાસવાદીઓને જમ્મુ કાશ્મીરમાં મોકલી દેવા માટેની હરકત કરી ચુક્યુ છે. પાકિસ્તાનને જુદા જુદા મોરચા પર પીછેહટનો સામનો કરવાની ફરજ પડી રહી છે. એલઓસી પર પાકિસ્તાન ફરી એકવાર જોરદાર રીતે સક્રિય છે. ત્રાસવાદીઓને ખતરનાક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એલઓસી નજીક પાકિસ્તાનના ત્રાસવાદી કેમ્પ ફરી સક્રિય થઇ ગયા છે. આની સાથે સાથે સાત લોંચ પેડ પણ બનાવવામાં આવી ચુક્યા છે. ૨૭૫ ત્રાસવાદી એક્ટિવ થયા છે. જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે અફઘાનિસ્તાની અને પશ્તુન યુવાનોને ખતરનાક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન આ પગલા એવા સમય પર લઇ રહ્યુ છે જ્યારે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા આ પગલા એવા સમય પર લેવામાં આવી રહ્યા છે જ્યારે આગામી મહિનામાં વૈશ્વિક ત્રાસવાદને પ્રોત્સાહન આપનાર ગતિવિધી પર નજર રાખનાર સંસ્થા ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સની બેઠક મળી રહી છે.

કાશ્મીરમાં ત્રાસવાદી મોકલવા માટેના કામ પાકિસ્તાને વિતેલા વર્ષોમાં પણ ક્યા છે. તે વિતેલા વર્ષોમાં પણ સક્રિય રહ્યુ છે. ઇન્ટેલિજન્સ સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૧૯૯૦ના દશકમાં પાકિસ્તાને ભારતમાં રક્તપાત સર્જવા માટે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને ઘુસાડી દીધા હતા. ૯૦ના દશકમાં પાકિસ્તાને પ્રોક્સી વોર હેઠળ કેટલીક ચાલ રમી હતી. પાકિસ્તાન હવે સામાન્ય રીતે પંજાબ અને પોકમાં જનજાતિય સમનુદાયને જ કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે મોકલવાની રણનિતી ધરાવે છે. ઇન્ટેલિજન્સની પાસે પાકિસ્તાનની હરકતની તમામ માહિતી રહેલી છે. પુરાવા પણ છે કે પાકિસ્તાની સેના અને આઇએસઆઇ સાથે મળીને ભારત સામે કાવતરા ઘડે છે.  અંકુશ રેખા પર મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને તૈયાર કરવાની બાબત ભારતીય સુરક્ષા દળો સામે મોટા પડકાર તરીકે છે. ભારત પાકિસ્તાનના દરેક ઇરાદાને નિષ્ફળ કરવા માટે તૈયાર છે.

(3:33 pm IST)