મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

વિક્રમ લેન્ડરથી હજુ સુધી કોઇપણ સંપર્ક થયો નથી

સંપર્ક સ્થાપિત કરવાના અવિરત પ્રયાસો : ઇસરો : વિક્રમ લેન્ડર હજુય બિલકુલ સુરક્ષિત છે તેમાં કોઇ તુટફુટ થઇ નથી : આસપાસ કોઇ જ ટુકડા દેખાતા નથી : ઇસરો

નવીદિલ્હી,તા.૨૭ : અપેક્ષા કરતા  અલગરીતે ચંદ્રની સપાટી ઉપર પહોંચેલા વિક્રમ લેન્ડર સાથે હજુ સુધી સંપર્ક થઇ શક્યો નથી. ઇસરોએ આજે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઇસરોએ કહ્યું છે કે, ચંદ્રયાન-૨ના ઓર્બીટરે વિક્રમ લેન્ડર અંગે પાકી માહિતી મેળવી લીધી છે પરંતુ સંપર્ક કરવામાં સફળતા મળી રહી નથી. ઇસરોએ કહ્યું છે કે, લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. ગઇકાલે અહેવાલ આવ્યા હતા કે, વિક્રમ ચંદ્રની સપાટી ઉપર આંશિકરીતે આડું પડી ગયું છે તેમાં કોઇપણ પ્રકારની તુટ ફુટ થઇ નથી. ઇસરોએ કહ્યું છે કે, ઓર્બીટર દ્વારા જે ફોટા મોકલવામાં આવ્યા છે તેમાં વિક્રમના કોઇ ટુકડા દેખાઈ રહ્યા નથી. આનો મતલબ એ થયો કે, વિક્રમ બિલકુલ સુરક્ષિત છે. એ વખતે વૈજ્ઞાનિકોએ વિક્રમ સાથે ફરીવાર સંપર્ક કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ૨૨મી જુલાઈના દિવસે લોંચ કરવામાં આવ્યા બાદ ચંદ્રયાન-૨ તમામ અડચણોને પાર કરીને ચંદ્રની બિલકુલ નજીક પહોંચી ગયું હતું. લોંચના ૪૭ દિવસ સુધી તમામ અડચણોને પાર કરીને ચંદ્રયાન ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. ૬-૭ સપ્ટેમ્બરની રાત્રે તેના વિક્રમ લેન્ડરને અને પોતાની અંદર રહેલા રોવર પ્રજ્ઞાનની સાથે ચંદ્રની સપાટી ઉપર ઉતારવાની જરૂર હતી પરંતુ માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે જ તે રસ્તો ભુલી ગયું હતું અને ઇસરો સાથે સંપર્ક તુટી ગયો હતો. ઇસરો સહિત તમામ વિજ્ઞાન જગતના લોકોનું કહેવું છે કે, ચંદ્રયાન-૨ દ્વારા પોતાના ૯૫ ટકા લક્ષ્યને હાંસલ કરી લેવામાં આવ્યું છે.

        આ મિશનની સૌથી મોટી સફળતા એ છે કે, ઓર્બીટર આગામી સાત વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવશે અને મહત્વપૂર્ણ માહિતી આપશે. ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઇસરોના વડા કે સિવન દ્વારા રવિવારના દિવસે જે માહિતી આપવામાં આવી હતી તે જ માહિતી આજે ઇસરો દ્વારા આપવામાં આવી છે. ઓર્બીટર દ્વારા તેની માહિતી મેળવી લેવામાં આવ્યા બાદ સંપર્કના પ્રયાસ થઇ રહ્યા છે. ઇસરો દ્વારા સંપર્ક કરવાના પ્રયાસ કઇ રીતે થઇ રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા કોઇ વધારે માહિતી અધિકારીઓએ આપી નથી. બીજી બાજુ શ્રેણીબદ્ધ વૈજ્ઞાનિકો પાસે આ પ્રકારના પ્રશ્નોના જવાબ જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિક્રમનો સંપર્ક કઈ રીતે કરવાના પ્રયાસ થઇ રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા અધિકારીઓનું કહેવું છે કે, ટેકનિકલી રીતે આ સંપર્કના પ્રયાસ થઇ રહ્યા છે.

દરરોજ ઇસરો દ્વારા જુદા જુદા પ્રકારના કમાન્ડ મોકલવામાં આવી રહ્યા છે. વિક્રમ જે રીતે કોમ્યુનિકેટ કરી શકે છે તે રીતે સિગ્નલો મોકલવામાં આવી રહ્યા છે. લેન્ડરથી કોઇ સંપર્ક થશે કે કેમ તે અંગે હાલ વાત કરવી મુશ્કેલ છે. ૩૨ મીટરના એન્ટીના પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. બેંગ્લોર નજીક ખુબ જ સ્પેશ નેટવર્ક સેન્ટર તરીકે આને ગણવામાં આવે છે. વિક્રમ સાથે ઓર્બીટરની વાતના પ્રયાસ પણ થઇ રહ્યા છે. વિક્રમ પોતે ત્રણ ટ્રાન્સપોન્ડરો ધરાવે છે. સાથે સાથે એન્ટીના પણ ધરાવે છે. લેન્ડરને સિગ્નલો મળ્યા બાદ સ્થિતિમાં સુધારો થઇ શકે છે. પાવર એનર્જી વિક્રમ ધરાવે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીઓ હાલમાં આ અંગે વાત કરી રહ્યા નથી. અંદાજ મુજબ ૧૪ દિવસ સુધી પ્રયાસ કરવામાં આવી શકે છે.

(12:00 am IST)