મહારાષ્ટ્ર ચૂંટણી : સોનિયા ગાંધીની શરદપવારની સાથે ચર્ચા
બેઠકોની વહેંચણીના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ : સ્થાનિક નેતાઓના સ્તર પર અનેક વખત લાંબી વાતચીત થઇ ચુકી છે : ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે
નવીદિલ્હી,તા.૧૦ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પવારે સોનિયા ગાંધી સાથે તેમના આવાસ ઉપર બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠક એવા સમય પર થઇ છે જ્યારે બંને પક્ષોના રાજ્ય એકમોના નેતાઓ વચ્ચે હાલના સપ્તાહમાં અનેક દોરની વાતચીત થઇ ચુકી છે. મોટાભાગની બેઠકોને લઇને સહમતિ થઇ ચુકી છે. એમ માનવામાં આવે છે કે, એનસીપીના પ્રમુખ શરદ પવારે સોનિયા ગાંધી સાથે વાતચીત દરમિયાન બેઠકોની વહેંચણીને અંતિમ રુપ આપવાના સંદર્ભમાં વાતચીત કરી હતી. કોંગ્રેસ સુત્રોના કહેવા મુજબ રાજ્યની મોટાભાગની સીટોને લઇને બંને પક્ષો વચ્ચે સહમતિ થઇ ચુકી છે પરંતુ સ્વાભિમાની પક્ષ જેવા કેટલાક નાના પક્ષોની સાથે તાલમેલને લઇને મડાગાંઠની સ્થિતિ પ્રવર્તી રહી છે. મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા સીટો રહેલી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યોજાઈ શકે છે. ભાજપ અને શિવસેનાએ લોકસભા ચૂંટણી વેળા જ જાહેરાત કરી દીધી હતી કે, વિધાનસભા ચૂંટણી પણ બંને પક્ષો સાથે મળીને લડનાર છે. ભાજપ અને શિવસેના ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર સફળતા મેળવી હતી. મહારાષ્ટ્રની લોકસભાની ૪૮ સીટો પૈકી ૪૧ સીટ પર ભાજપ અને શિવસેના દ્વારા જીત મેળવવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બેસાડવાના પ્રયાસો કોંગ્રેસ અને એનસીપી દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદથી બંને પક્ષોની હાલત કફોડી બનેલી છે. ૪૧ સીટો પર ભાજપ અને શિવસેના દ્વારા જોરદાર સપાટો બોલાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઇ છે. તેના અનેક સભ્યો તેની સાથે છેડો ફાડી ચુક્યા છે. આ સિલસિલો હજુ પણ જારી રહ્યો છે. આજે યોજાયેલી બેઠકમાં કયા કયા મુદ્દા પર વાતચીત થઇ તેને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પાર્ટી સુત્રોનું કહેવું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી રાજીનામુ આપી ચુક્યા ચે ્ને કોંગ્રેસ પ્રમુખની જવાબદારી ફરી એકવાર સોનિયા ગાંધી પાસે આવી ગઈ છે.