સાબરમતી અને સરદાર સરોવરમાં બનશે સૌપ્રથમ સી પ્લેનના મથકો
નાગરિક ઉડ્યન મંત્રાલયે આપી સૈદ્ધાંતિક મંજૂરી :શરૂઆતમાં પાંચ સ્થળોની પસંદગી
નવી દિલ્હી : ભારતમાં સી પ્લેન સર્વિસને મોટાપાયે ચાલુ કરવા કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે. સરકારે દેશના અલગ અલગ હિસ્સાઓમાં સી પ્લેન ઉતારવા માટે અડ્ડા બનાવવા મંજુરી આપી છે નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. સૌથી પહેલું સી પ્લેનના મથકો અમદાવાદની સાબરમતી નદી, સરદાર સરોવર બંધ અને ઓરિસ્સાના ચિલ્કા તળાવ નજીક બનશે.
આ અંગે માહિતી આપતા નાગરિક ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કર્યું, દેશના અલગ અળગ રાજ્યો સી પ્લેન મથકો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. તેમાં ટૂરિઝમને પણ વેગ મળશે. ધાર્મિક માન્યતા ધરાવતા સ્થળો પરથી કનેક્ટિવિટી સારી રહેશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતી તબક્કા માટે સરકારે 5 સ્થળોની પસંદગી કરી છે. તેમાં ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને અસમનો સમાવેશ થાય છે.
પહેલા તબક્કામાં ચિલ્કા લેક (ઓરિસ્સા), સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ (ગુજરાત) પર કામ થશે. પ્રભુએ જણાવ્યું કે, સી પ્લેનના હવાઇ મથકો બનાવવાનાં નિયમ અને લાઇસન્સ નિયમો અંગે નાગરિક ઉડ્યન મહાનિર્દેશાલય (ડીજીસીએ) પહેલા જ માહિતી આપી ચુક્યું છે.