મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

ચીનમાં ધાર્મિક બબાલ : ૪ માળની ગેરકાયદે મસ્જિદ તોડવા બાબતે ધમાસાણઃ મુસ્લિમોના ભારે દેખાવો : નવો પ્લાન પાસ થાય ત્યાં સુધી તોડફોડ અટકાવી

નાસ્તિક મનાતા ચીનમાં વિવિધ ધર્મોનું પાલન માટે છૂટ પણ ધાર્મિક કર્મકાંડો પર મનાઇ : કટ્ટર ઇસ્લામવાદ ફેલાતો રોકવા - હિંસા ડામવા અનેક પ્રકારના પ્રતિબંધો

બેજીંગ તા. ૧૧ : ચીનમાં નિકિસઆ નામના સ્વાયત્ત પ્રાંતમાં આવેલી એક મસ્જિદ તોડવાની કાર્યવાહી મુસ્લિમોના આક્રમક વિરોધના કારણે અટકાવી દેવી પડી હતી. આ મસ્જિદ ટોન્ગકિસન કાઉન્ટીના વિઝાઉ નામના શહેરમાં આવેલી છે. ચીન સરકારે દાવો કર્યો હતો કે, હુઈ મુસ્લિમો સાથે સંકળાયેલી ચાર માળની આ મસ્જિદે બાંધકામ માટે જરૂરી મંજૂરી લીધી ન હતી.

ચીન સત્તાવાર રીતે એક નાસ્તિક દેશ માનવામાં આવે છે. ચીનમાં સમયાંતરે વિવિધ ધાર્મિક કર્મકાંડો પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો પ્રમાણે, ચીન છેલ્લાં ઘણાં સમયથી દેશમાંથી કટ્ટર ઇસ્લામવાદ રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનમાં ઉઇઘુર મુસ્લિમો પછી સૌથી હુઇ મુસ્લિમોની વસતી સૌથી વધારે છે. ચીન સરકારે શુક્રવારે જ મસ્જિદ તોડી પાડવાની કાર્યવાહી શરૂ હતી, પરંતુ એ પછી હજારો હુઇ મુસ્લિમોએ મસ્જિદ પર જઇને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

ચીનની સૌથી મોટી મસ્જિદોમાંની એક ગણાતી વિઝાઉ મસ્જિદનું નિર્માણ હાલમાં જ કરાયું હતું. ચીન બંધારણીય આધારે કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે, પરંતુ હાલમાં સતત વધી રહેલી હિંસા અને કટ્ટરતાના કારણે ચીન સરકાર મુસ્લિમ વિસ્તારોમાં જાતભાતના પ્રતિબંધો મૂકી રહી છે. ચીન સરકારે ત્રીજી જુલાઈએ આ મસ્જિદ તોડવાની નોટિસ ફટકારી હતી. સરકારી આદેશમાં એમ પણ કહેવાયું હતું કે, મસ્જિદોના મિનારા બૌદ્ઘ પેગોડા જેવા જ બનાવવામાં આવે કારણ કે, આ મસ્જિદ ૬૦૦ વર્ષ જૂની ચીની મસ્જિદ તોડીને કરાયું હતું. ચીનમાં મોટા ભાગના ધાર્મિક સ્થળો પેગોડા જેવું જ બાંધકામ ધરાવે છે. જોકે, મુસ્લિમોએ આ આદેશનો સખત વિરોધ કર્યો હતો.

જોકે, હુઈ મુસ્લિમોના ભારે વિરોધ પછી સ્થાનિક તંત્ર ખાતરી આપી હતી કે, આ મસ્જિદની ડિઝાઈન બદલીને બીજી વાર બનાવવાનો પ્લાન પાસ ના થઈ જાય ત્યાં સુધી મસ્જિદ તોડવામાં નહીં આવે. ચીનમાં મુસ્લિમો દ્વારા કરાયેલું આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન હતું. લોકોએ એવો પણ સવાલ કર્યો છે કે, આ મસ્જિદ બે વર્ષથી બની રહી હતી ત્યારે સરકારે તેનું બાંધકામ કેમ નહોતું અટકાવ્યું? નોંધનીય છે કે, ચીન સરકાર ઘણાં સમયથી ધર્મની 'અયોગ્ય નીતિરીતિઓ'ને કાબૂમાં રાખવાની નીતિ પર કામ કરી રહી છે.(૨૧.૧૫)

(3:35 pm IST)