નિઓવાઈઝ નામનો ધુમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થશે
નરી આંખે દુર્લભ નજારો દેખાશે : સામાન્ય દુરબીન વડે ખગોળીય ઘટનાને જોઈ શકાશે
કેપ કેનવેરલ, તા. ૧૧ : ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનેથી જેને ખગોળવિજ્ઞાનીઓએ નરી આંખે તાજેતરમાં જોયો હતો તે ઘુમકેતુ નિઓવાઈઝ થોડા દિવસોમાં પૃથ્વીની એકદમ નજીક આવશે અને નરી આંખે દેખાશે. આ પરિઘટના ભારત સહિત ઉત્તરિય ગોળાર્ધના કેટલાક ભાગોમાં જોવા મળશે. જુલાઈના મધ્યમાં તેમજ ઓગસ્ટ સુધીમાં આ દુર્લભ અવકાશી નજારો જોવા મળે તેવી સંભાવના છે. કોમેટ નિઓવાઈઝ અંગે વિજ્ઞાનીઓને માર્ચમાં જાણ થઈ હતી. આ ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થયો હતો અને તેને પગલે તેની મોટાભાગની સપાટી સળગતાં તેની પૂંછડીનો ભાગ વધુ લાંબો થયેલો જણાય છે. નાસાના નીઓવાઈસ ઈન્ફ્રારેડ સ્પેસ ટેલીસ્કોપે સૌપ્રથમ વખત માર્ચમાં આ ધૂમકેતુની પરખ કરી હતી. આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓના મતે આ પૂંછડીયો તારો ૩ માઈલ અર્થાત ૫ કિલોમીટર જેટલો મોટો છે. આ કોમેટના મધ્યભાગમાં કાળી મેશ જેવો પદાર્થ રહેલો છે જે ૪.૬ અબજ વર્ષ પૂર્વે આપણા સૌરમંડળની રચના વખતનો હોવાનું માનવામાં આવે છે.
ધૂમકેતુ નિઓવાઈઝ જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થશે અને સૌરમંડળમાંથી બહાર નીકળશે તે અદભુત નજારો ભારત તેમજ ઉત્તરીય ગોળાર્ધના ભાગોમાં નરી આંખે પણ જોવા મળશે. જ્યાં પ્રકાશ પ્રદુષણ ઓછું હશે તેવા ભાગમાં નરી આંખે આ અદભુત નજારો જોઈ શકાશે. વિજ્ઞાનીઓના મતે સામાન્ય દુરબીનની મદદથી પણ આ નજારો સારી રીતે જોઈ શકાશે. વિજ્ઞાનીઓના મતે ૭,૦૦૦ વર્ષ બાદ ધુમકેતુ પરત ફરશે ૧૯૯૦ના મધ્ય ગાળાથી અત્યાર સુધીમાં આ સૌથી વધુ પ્રકાશતો ધુમકેતુ છે. નાસાના બોબ બેહ્નકેને સોશિયલ મીડિયા પર આ કોમેટની એક તસવીર શેર કરી હતી. જેમાં મધ્ય એશિયા પૃષ્ઠભૂમીમાં જોવા મળે છે અને સ્પેસ સ્ટેશન આગળના ભાગમાં જોઈ શકાય છે.