મુખ્ય સમાચાર
News of Monday, 11th June 2018

સંઘને ભરી પીવા સેવાદળ સાબદું: કોંગ્રેસનું એક સમયનું આ ધરખમ ગજાનું સંગઠન દેશમાં ૧૦૦૦ જગ્યાએ ધ્વજવંદન કરશે

નવી દિલ્હી તા. ૧૧: કોંગ્રેસનું સેવાદળ આરએસએસને ટક્કર આપવા માટે દેશમાં ૧૦૦૦ જગ્યાએ ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવાની તેયારીમાં છે. દર મહિનાના છેલ્લા રવિવારે થનાર આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહરૂના સિધ્ધાંતોની ચર્ચા થશે. કાર્યક્રમના અમલ માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલગાંધીની મંજુરીની રાહ જોવાઇ રહી છે. રાહુલની હાજરીમાં સોમવારે તેની જાહેરાત થાય તેવી આશા છે.

સેવાદળે સંગઠનને ફરીથી સક્રિય કરવાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. સેવાદળના મુખ્ય આયોજક લાલજીભાઇ દેસાઇએ કહયું કે સેવાદળ પહેલા જેવું સક્રિય નથી. તેને કોંગ્રેસના કાર્યક્રમોની જવાબદારી પણ નથી સોંપાતી. અમે સેવાદળને ફરીથી સક્રિય કરીને પક્ષની મદદ કરવાની કોશીશમાં છીએ.

દેસાઇએ કહયું કે આવતા ત્રણ મહિના દેશભરમાં સેવા દળની પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવશે. પહેલો કેમ્પ ૧૧ જુનથી મણીપુરમાં શરૂ થશે. જેમાં સેવાદળના સ્વયં સેવકો અને પુર્વોતર ના કોંગ્રેસી નેતાઓ સામેલ થશે. અત્યારે દેશભરમાં ૭૦૦ જિલ્લામાં સેવાદળની શાખાઓ છે જેમાં ૨૦ થી ૨૦૦ સ્વયં સેવકો છે.

સેવાદળની શરૂઆત ૧ જાન્યુઆરી ૧૯૨૪ના રોજ એન એસ હાર્ડીકરે આંધ્રાપ્રદેશના કાકીનાડામાં કરી હતી. આઝાદાની લડાઇમાં જોડાયેલ મોટા કોંગ્રેસી નેતાઓ તેના સભ્ય રહી ચુકયા છે. ભુતપુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સેવાદળના પહેલા પ્રમુખ બન્યા હતા. ૧૯૩૨માં મહિલા  સેના ઉભી કરવા બદલ અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ મુકયો હતો જે પછી પાછો ખેંચાયો હતો.

(3:30 pm IST)