મુખ્ય સમાચાર
News of Monday, 11th June 2018

ભારતમાં લોહી રેડવા જૈશ - હિઝબુલ - તોયબાએ હાથ મિલાવ્‍યા

ભારત વિરૂધ્‍ધ મોટુ ષડયંત્ર : ત્રણેય નાપાક સંગઠનોને ISIના આશિર્વાદ : જૈશના ત્રાસવાદી આશિક બાબાએ કર્યો નાપાક ઇરાદાઓનો ખુલાસો

નવી દિલ્‍હી તા. ૧૧ : પાકિસ્‍તાનથી ભારત વિરુદ્ધ કાર્યવાહી કરતા જૈશ-એ-મોહમ્‍મદના આતંકી આશિક બાબાના સંગઠને પોતાના નાપાક ઈરાદાઓનો ખુલાસો કર્યો છે. શ્રીનગરમાં આતંકી ગતિવિધિઓ સંભાળનારા આશિક બાબાએ દાવો કર્યો છે કે ૨૦૧૭માં પુલવામા પોલીસ લાઈન પર થયેલો આતંકી હુમલો જૈશના કાશ્‍મીર કમાન્‍ડર મુફકી વકાસના નેતૃત્‍વમાં થયો હતો. આ આંતકી હુમલામાં ૮ જવાન શહીદ થયા હતા. આશિક બાબા સાથેની પૂછપરછમાં સંકેત મળ્‍યા છે કે જૈશ, લશ્‍કર અને હિઝબુલ જેવા આતંકી સંગઠન એકસાથે મળીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.

નગરોટા સેના કેંપ પર થયેલા આતંકી હુમલામાં આશિક બાબાની કથિત ભુમિકાને કારણે તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જૈશના આતંકી પ્‍લાનની પણ જાણકારી મળી આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આશિક બાબા તેમના માટે ઘણો મહત્‍વનો માણસ છે, કારણકે તે પાકિસ્‍તાનમાં જૈશના ટેરર કેમ્‍પ્‍સમાં રહી ચુક્‍યો છે અને સંગઠનના ચીફ મૌલાના મસૂદ અઝહરના નજીકના ટોપ આતંકીઓને પણ મળી ચુક્‍યો છે. તપાસ એજન્‍સીઓને આશા છે કે આશિક બાબા આ નેતાઓની એક્‍ટિવિટીઝની જાણકારી આપી શકે છે.

આશિક બાબએ દાવો કર્યો છે કે જૈશ ખૈબર પખ્‍તૂનખ્‍વા પ્રાંતના મનશેરામાં ટેરર કેમ્‍પ ચલાવે છે. આ જગ્‍યા લશ્‍કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદીનના કેમ્‍પો પાસે જ છે. આ જાણકારી પછી શંકા વ્‍યક્‍ત થઈ રહી છે પાકિસ્‍તાન મિલિટરી અને સિક્રેટ એજન્‍સી ISIની દેખરેખ હેઠળ આ ત્રણ ભારત વિરોધી આતંકી સંગઠન એકસાથ મળીને કામ કરી રહ્યા છે.

પુલવામા હુમલો સાબિત કરે છે કે જૈશ આતંકી ઘટનાઓમાં કઈ રીતે મુખ્‍ય ભૂમિકા ભજવે છે. ૨૬ ઓગસ્‍ટ ૨૦૧૭ના રોજ જૈશના ૩ આતંકી ભારતીય જવાનોનો યૂનિફોર્મ પહેરીને કેમ્‍પમાં ઘુસી આવ્‍યા હતા. સુરક્ષાદળો એ માર્ચ, ૨૦૧૮માં એક આતંકી વકાસને ઠાર કર્યો હતો. વકાસ ૧૧ ફેબ્રુઆરીના રોજ સુંજવાર આર્મી કેમ્‍પ પર થયેલા હુમલાનો દોષી હતો, જેમાં એક JCO શહીદ થયા હતા.

૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન અનેક વાર પાકિસ્‍તાન જઈ ચુકેલો અને મસૂદ અઝહરના ભાઈને મળી ચુકેલો આશિક બાબા અત્‍યારે સુરક્ષાદળોના કામ આવી રહ્યો છે. આતંકી આશિક બાબા પાસેથી મળી રહેલી જાણકારીથી સુરક્ષા દળોને જૈશના ઓપરેશન અને પ્‍લાનિંગની જાણકારી મળી રહી છે. અત્‍યારે NIA આશિકની પૂછપરછ કરી રહી છે.

આશિક બાબાનો દાવો છે કે, કાશ્‍મીરમાં સરહદ પારથી થતી આતંકી ગતિવિધીઓને પાર પાડવાની જવાબદારી કોઈ અબ્‍દુલ્લા નામના આતંકીની છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આશિક બાબાએ ગયા વર્ષે કાશ્‍મીરમાં થયેલા ફિદાયીન હુમલામાં જૈશ માટે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

(11:44 am IST)