મુંબઈમાં મેરઠ કરતા ઓછા કેસ નોંધાયાઃ દિલ્હી-ગુજરાતમાં પણ કોરોનાનું જોર ઘટયું
મહારાષ્ટ્રમાં ૪૦ દિવસ પછી ૪૦,૦૦૦ કરતા પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાયાઃ બીજી લહેરનો આવી રહ્યો છે અંત?
નવી દિલ્હી, તા.૧૧: કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ઘણી જ ઘાતક સાબિત થઈ છે, કોરોનાના કેસ, એકિટવ કેસ, મૃત્યઆંક, ક્રિટિકલ કેસ તમામમાં આ લહેર દરમિયાન મોટો ઉછાળો નોંધાયો છે. દેશના દ્યણાં ભાગોમાં કોરોના મહામારી વકરી રહી છે. જોકે, હવે એવી સ્થિતિ બની છે કે એક સમયે કોરોનાના સૌથી વધારે પ્રભાવિત મુંબઈ શહેરમાં મેરઠ કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હી સિવાય દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકામાં કોરોનાના કેસમાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે.
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના સંક્રમણના ૩૭,૨૩૬ નવા કેસ નોંધાયા છે, અહીં કુલ કેસની સંખ્યા વધીને ૫૧,૩૮,૯૭૩ થઈ ગઈ છે. આવી સ્થિતિ ૩૧ માર્ચ એટલે કે ૪૦ દિવસ પછી મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા ૩૧ માર્ચે ૩૯,૫૪૪ કેસ સામે આવ્યા હતા. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ પીક પરથી નીચે આવી રહ્યું છે.
મુંબઈ એક સમયે કોરોનાથી સૌથી વધારે વધુ પ્રભાવિત શહેર હતું, જયારે હવે અહીં કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અહીં પાછલા ૨૪ કલાકમાં ૧,૭૯૪ નવા કેસ નોંધાયા છે. જયારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૫૮૦ છે, કુલ ૭૪ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જો વાત મેરઠની કરીએ તો સોમવારે અહીં ૨૨૬૮ નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૫૯૨ કેસો નોંધાયા છે અને સામે ૧૪,૯૩૧ દર્દીઓ સાજા થયા છે. અહીં વધુ ૧૧૭ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮૫૧૧ પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૫૪૭૯૩૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એકિટવ કેસો ૧૩૬૧૫૮ છે જેમાં વેન્ટિલેટર પર ૭૯૨ દર્દી જયારે ૧૩૫૩૬૬ દર્દીઓ સ્ટેબલ છે.
રાજધાની દિલ્હીમાં સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે. પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓકિસજન આપૂર્તિમાં પણ રાહત થઈ રહી છે. મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં ૧૨,૬૫૧ નવા કેસ આવ્યા છે. જોકે, અહીં મૃત્યુઆંક હજુ પણ ઊંચો રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં અહીં ૩૧૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સંક્રમણ દ્યટીને ૧૯.૧૦ ટકા થયું છે. આ પાછલા ૪ અઠવાડિયા કરતા ઓછું છે.
કર્ણાટકામાં સોમવારે કોરોના કેસની સંખ્યા ૩૯,૩૦૫ નોંધાઈ છે અને ૫૯૬ લોકોના મોત થયા છે. આ સાથે રાજયમાં હવે કુલ કેસની સંખ્યા ૧૯,૭૩,૬૮૩ થઈ ગઈ છે, જયારે મૃત્યુઆંક વધીને ૧૯,૩૭૨ થઈ ગયો છે. આંકડા મુજબ રાજયમાં સોમવારે ૩૨,૧૮૮ લોકો સંક્રમિત થયા છે. પાછલા દિવસોના આંકડાની સરખામણીમાં ગતિમાં સુધારો થયો છે.