કોરોનાનો નવો વેરિઅન્ટ અતિ ઝડપી અને ખતરનાક : લોકડાઉન સિવાય વિકલ્પ નથી : એઇમ્સની ચેતવણી
કોરોનાના કેસો કે મૃત્યુ અટકાવવા દેશમાં એક કડક લોકડાઉન અતી જરુરી :એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા
નવી દિલ્હી : એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ દેશવ્યાપી લોકડાઉન લગાવવા પર ભાર મુક્યો હતો, તેમણે કહ્યું હતું કે જો હાલ કોરોના વાઇરસની ચેઇન તોડવામાં ન આવી તો દૈનિક ચાર લાખથી વધુ કેસો આવવા લાગશે. તેથી લોકડાઉન અંગે વિચારવું જોઇએ કેમ કે જે નવો કોરોના વેરિએંટ છે તે વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના કેસો કે મૃત્યુ અટકાવવા દેશમાં એક કડક લોકડાઉન અતી જરુરી છે
કોવિડ -19 રોગચાળાને કારણે આખો દેશ અસરગ્રસ્ત છે. અને આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે, ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન કેટલો સમય લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન શું ખુલ્લું અને બંધ રહેશે, તે માટે સરકાર દ્વારા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લગાવાયુ છે તેનો સમયગાળો વધારીને 17મી મે સુધી કરી દેવાયો છે. જ્યારે તમિલનાડુ, રાજસ્થાન, પુડ્ડુચેરીએ સોમવારથી બે સપ્તાહ માટે જ્યારે મિઝોરમે એક સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યું છે. કર્ણાટકમાં લોકડાઉન જેવા પ્રતિબંધ 24મી મે સુધી લંબાવાયા, કેરળે પણ શનિવારથી નવ દિવસ માટે લોકડાઉન લાગુ કરી દીધુ છે.